બંગડીના કારખાનામાં કામ કરતાં પિતાનું વધાર્યુ ગૌરવ: મહેક ઠાકુર બોર્ડમાં ચમકી
સુખ-સુવિધાની વચ્ચે સફળતા મળે છે, જ્યારે અનેક પડકારો વચ્ચેથી પસાર થઈ ટોચની સફળતા મેળવનારને પરિશ્રમનું મહત્વ સમજાય છે. આવા જ વિચારધારાને વરેલા પી એન્ડ બી સ્કૂલના સંચાલકો પ્રવીણભાઈ ભોજાણી અને મહેશભાઈ ભોજાણીએ છેલ્લા બે દાયકાથી સરસ્વતી યજ્ઞ શરૂ કર્યો છે. રાજકોટ શહેરમાં રેલનગર, હેમુ ગઢવી હોલ નજીક તેમજ કોઠારિયા વિસ્તારમાં તેમણે શિક્ષણ યજ્ઞ શરૂ કર્યો છે. જે માત્ર જરૂરિયામદં અને નબળા વર્ગના બાળકો રૂપિયાના અભાવે શિક્ષણથી વંચિત ન રહે એ માટે નજીવી ફી સાથે આ બાળકોને અભ્યાસ કરાવે છે.
ગઈકાલે જાહેર થયેલા ધો.10ના પરિણામમાં અભાવ વચ્ચે પ્રભાવ ખીલ્યો ને અને ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓએ સફળતાનું પરિણામ તો મેળવ્યું છે પણ શાળાનું પરિણામ પણ 99.5 ટકા આવ્યું છે. વોઈસ ઓફ ડે’ની શુભેચ્છા મુલાકાતે આવેલા તેજસ્વી તારલા અને સંચાલકોએ વિગતવાર માહિતી આપી હતી. પી એન્ડ બી સ્કૂલએ ધો.12માં પણ ઝળહળતું પરિણામ લાવ્યા બાદ ધો.10માં પણ સફળતાનો ડંકો વગાડ્યો છે.
ધો.10માં બોર્ડમાં ચમકેલ વિદ્યાર્થી ઠાકુર મહેક સુનિલભાઈ (99.22), કે.સી. દિપેશ બહાદુર (98.31) તથા વડગામા જૈની પરેશભાઈ (97.40%) આ વિદ્યાર્થીઓ પી એન્ડ બી શાળામાંએ રાજકોટનું ગૌરવ વધારેલ છે. બંગડીના કારખાનામાં મજૂરી કરતા પિતાની પુત્રી મહેકએ 99.22 પીઆર મેળવીને પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યુ છે.
‘વોઈસ ઓફ ડે’ની વાતચીતમાં મહેકએ કહ્યું હતું કે મહેશ સર અને પ્રવીણ સર પોતે શાળા સંચાલકો છે. એ પહેલાં શિક્ષકો છે અમને સ્કૂલ પુરી થયા બાદ પણ અભ્યાસ કરાવતા હતા. આજે અમે અહીં પહોંચ્યા છીએ તેમની પાછળ આ સરની મહેનત છે. હવે મહેક આગળનો અભ્યાસ કરી સરકારી ઉચ્ચ પોસ્ટમાં નોકરી કરી રાજકોટનું ગૌરવ વધારવા માંગે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પી એન્ડ બી સ્કૂલે બાળકોની જ્ઞાનવૃધ્ધિમાં વધારો કરવા સાયન્સ ફેર યોજ્યો હતો.