પ્રદૂષણમાં અવ્વલ નંબરે આવતું ભારત!
‘એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ – દુનિયાના બધા દેશોમાં ભારતનો ક્રમ ૧૭૬મો છે!
સવાર પડે એટલે આપણે ૫૦,૦૦૦ રૂપિયાના સ્માર્ટફોનમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ચેક કરીએ છીએ. ઘરમાં લાખો રૂપિયાનું ઈન્ટિરિયર કરાવીએ છીએ. દિલ્હી જેવા શહેરમાં રહેતા હો તો ઘરના ખૂણામાં ૨૦,૦૦૦ નું એર પ્યુરિફાયર હોય તે શક્ય છે. રસોડામાં ૮,૦૦૦ નો RO પ્લાન્ટ લગાવીએ છીએ. આપણે એક એવો મધ્યમ વર્ગ બની ગયા છીએ જેણે મનોમન સ્વીકારી લીધું છે કે “બહાર તો ઝેર જ છે, આપણે માત્ર આપણું ઘર બચાવી લઈએ.” પણ ઘરની બહારના એ ઝેરનો વરવો હિસાબ તાજેતરમાં યેલ યુનિવર્સિટીના ‘એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ (EPI) ૨૦૨૬’ એ આપ્યો છે. ૧૭૭ દેશોના આ લિસ્ટમાં ભારત ૧૭૬મા નંબરે છે! જી હા, માત્ર ‘લાઓસ’ નામનો નાનકડો દેશ જ આપણાથી પાછળ છે. આ કોઈ પશ્ચિમી દેશોનું કાવતરું નથી, આ આપણા પોતાના જ કર્મોનો અરીસો છે, જેમાં આપણો કાળો અને ધુમાડાવાળો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
આપણે એવો દેશ છીએ જે નદીઓને ‘માતા’ કહીને પૂજે છે, પીપળાના વૃક્ષમાં ઈશ્વર જુએ છે અને સૂર્યને જળ ચડાવે છે. પણ વાસ્તવિકતા એ છે કે આપણી મોટાભાગની નદીઓ કેમિકલયુક્ત ગટર બની ચૂકી છે, જંગલો કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ ગયા છે અને સૂર્યનો પ્રકાશ પણ ધુમ્મસ અને ધુમાડા (Smog) નું લેયર વીંધીને આપણા સુધી માંડ પહોંચે છે. જ્યારે આ EPI ૨૦૨૬ નો રિપોર્ટ બહાર આવ્યો ત્યારે આપણી પહેલી પ્રતિક્રિયા શું હતી? “આ તો અમેરિકા અને યુરોપની ચાલ છે, તેઓ પક્ષપાતી છે.” હા, એ વાત ૧૦૦% સાચી કે પશ્ચિમી દેશોએ છેલ્લા ૧૦૦ વર્ષ પ્રદૂષણ કરીને પોતાનો વિકાસ કરી લીધો અને હવે તેઓ આપણા પર નિયમો થોપી રહ્યા છે. પણ શું પશ્ચિમી દેશોને ગાળો આપવાથી દિલ્હી, મુંબઈ કે અમદાવાદ કે રાજકોટ-મોરબીની હવામાંથી ઝેર ઓછું થઈ જશે?
ભ્રષ્ટાચારની ચિમનીઓ અને રાજકીય અફીણ
આપણા દેશમાં ખરાબ પર્યાવરણનું સૌથી મોટું કારણ ‘સિસ્ટમનો ભ્રષ્ટાચાર’ છે. કાયદાઓ કડક છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ અસ્તિત્વમાં છે, પણ ‘હપ્તા સિસ્ટમ’ ની ઉધઈ આખી વ્યવસ્થાને ખાઈ ગઈ છે. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ (ઔદ્યોગિક કચરો) ટ્રીટ કર્યા વિના રાતના અંધારામાં સીધો નદીઓમાં કે ગટરોમાં ઠાલવવામાં આવે છે. ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) જ્યારે દંડ ફટકારે છે, ત્યારે ફેક્ટરી માલિકો માટે એ દંડ ભરવો એ પ્રદૂષણ રોકવાના મોંઘા મશીન લગાવવા કરતાં સસ્તો પડે છે!
બીજી તરફ, રાજકીય ઈચ્છાશક્તિનો સંપૂર્ણ અભાવ છે. કારણ કે આપણા દેશમાં ‘પર્યાવરણ’ એ ક્યારેય ચૂંટણીનો મુદ્દો રહ્યો જ નથી. કોઈ નેતા પોતાના મેનિફેસ્ટોમાં એવું નથી કહેતો કે “હું તમને શુદ્ધ હવા આપીશ.” કારણ કે પબ્લિકને મફત વીજળી જોઈએ છે, ધાર્મિક મુદ્દાઓ જોઈએ છે, પણ શુદ્ધ હવા નહીં. જ્યાં સુધી પ્રદૂષણ ફેલાવવાથી કોઈ નેતાની વોટબેંક તૂટશે નહીં, ત્યાં સુધી કોઈ સરકાર ફેક્ટરીઓની ચિમનીઓ પર લગામ નહીં લગાવે.
આ પણ વાંચો: ભારે વરસાદમાં બાગાયતી વૃક્ષો જમીનદોસ્ત થયા છે? તો હવે નિરાશ થવાની જરૂર નથી
વિકાસનું બિલ આપણા શ્વાસ ચૂકવી રહ્યા છે
આપણે ૫ ટ્રિલિયન ડોલરની મહાસત્તા બનવાના સપના જોઈ રહ્યા છીએ. પણ આ ઇકોનોમીનો પાયો હજુ પણ ‘કોલસા’ પર ટકેલો છે. આજે પણ ભારતની ૭૦% થી વધુ વીજળી કોલસો સળગાવીને બને છે. વિકાસ જોઈએ છે, પણ તેના બદલામાં આપણે આપણા ફેફસાં ગીરવે મૂકી દીધા છે.
કમાણી વધી રહી છે, પણ તે કમાણી સીધી હોસ્પિટલોના બીલમાં જઈ રહી છે. એક વૈશ્વિક સ્વાસ્થ્ય રિપોર્ટ મુજબ ઝેરી હવાથી ભારતીયોનું સરેરાશ આયુષ્ય ૫.૩ વર્ષ ઘટી ગયું છે. એટલે કે, આપણે સૌ ૫ વર્ષ વહેલા મરવાના છીએ. કારણ? આપણે ભારતના કોઈ શહેરમાં શ્વાસ લઈ રહ્યા છીએ! આપણા બાળકોના ફેફસાં જન્મતાની સાથે જ સિગારેટ પીતા માણસના જેવા કાળા થવા લાગ્યા છે. આ કેવો વિકાસ છે જ્યાં માણસ પોતાની ઉંમર વેચીને રસ્તાઓ પહોળા કરી રહ્યો છે?
ઉકેલ શું છે? ‘ગ્રીન રીવોલ્યુશન’
આ માત્ર નિરાશાવાદ નથી, આ ‘જાગ્યા ત્યારથી સવાર’ સમજવાનો સમય છે. જો આપણે આ ગેસ ચેમ્બરમાંથી બહાર આવવું હશે, તો અમુક આકરા અને પાયાગત નિર્ણયો લેવા જ પડશે:
૧. ‘ઝીરો ટોલરન્સ‘ કાયદાઓ: પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કાગળનો વાઘ છે અને માત્ર નોટીસો આપે છે. એ બોર્ડને અસલી વાઘ બનાવવું પડે. પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓને માત્ર દંડ નહીં, પણ સીધા તેમના લાયસન્સ રદ થવા જોઈએ અને માલિકો ઉપર કેસ ચાલવા જોઈએ.
૨. કોલસાથી ગ્રીન એનર્જી તરફનું શિફ્ટિંગ: સરકાર સોલાર અને વિન્ડ એનર્જી માટે સબસીડી આપે છે, પણ તેને હવે યુદ્ધના ધોરણે લાગુ કરવી પડશે. રિન્યુએબલ એનર્જીને એટલી સસ્તી અને સુલભ બનાવવી પડશે કે લોકો જાતે જ કોલસા આધારિત વીજળીનો બહિષ્કાર કરે.
૩. પબ્લિક ટ્રાન્સપોર્ટનું વિસ્તરણ: આપણા શહેરો માણસો માટે નહીં, પણ ‘કારો’ માટે ડિઝાઇન થઈ રહ્યા છે. મેટ્રો અને ઇલેક્ટ્રિક બસોનું જાળું એટલું મજબૂત હોવું જોઈએ કે લોકો પોતાની કાર ઘરે મૂકીને તેમાં જાય. સિંગાપોર અને લંડનની જેમ પ્રદૂષણ ફેલાવતા વાહનો પર ‘કન્જેશન ટેક્સ’ (Congestion Tax) લગાવવાનો સમય આવી ગયો છે.
૪. નાગરિક જવાબદારીનો અહેસાસ: જ્યાં સુધી સામાન્ય માણસ કચરો રસ્તા પર ફેંકવાનું, પ્લાસ્ટિક સળગાવવાનું અને શુદ્ધ હવા માટે અવાજ ઉઠાવવાનું શરૂ નહીં કરે, ત્યાં સુધી કોઈપણ સરકાર જાદુ નહીં કરી શકે.
આખરે, યેલ યુનિવર્સિટીના રેન્કિંગને ગાળો આપવાથી કે રિપોર્ટને ફગાવી દેવાથી આપણું આયુષ્ય વધવાનું નથી. આપણે સ્વીકારવું પડશે કે આપણી પાસે રહેવા માટે માત્ર આ એક જ દેશ છે, અને આપણે તેને આર્થિક લાલચમાં કચરાપેટી બનાવી દીધો છે. જ્યારે દેશનો દરેક નાગરિક સમજશે કે ‘GDP’ નો આંકડો શ્વાસ લેવા માટે પૂરતો નથી, ત્યારે જ આ દેશ ખરા અર્થમાં વિકાસની વ્યાખ્યા સમજી શકશે. બાકી, એ.સી. રૂમમાં બેસીને પશ્ચિમી દેશોની ટીકા કરવી એ આપણા પોતાના જ અંતિમ સંસ્કારની તૈયારી કરવા સમાન છે. જાગો, નહીંતર આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે!
ભારતના પર્યાવરણનું ‘હિડન‘ સાયન્સ અને કડવા આંકડા
શ્વાસોશ્વાસ અને સિગારેટનું ગણિત: સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) ના એક ચોંકાવનારા મેડિકલ ડેટા અનુસાર, શિયાળા દરમિયાન દિલ્હી કે મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં માત્ર ખુલ્લી હવામાં શ્વાસ લેવો એ દિવસની ૧૫ થી ૨૦ સિગારેટ પીવા બરાબર છે. આનો અર્થ એ કે જે ગર્ભવતી મહિલાઓ કે નવજાત બાળકોએ ક્યારેય ધૂમ્રપાન નથી કર્યું, તેઓ પણ જન્મજાત ચેઈન-સ્મોકર બની રહ્યા છે.
‘ગ્રીનવોશિંગ‘નો માયાવી ખેલ: ગ્લોબલ કોર્પોરેટ માર્કેટમાં અત્યારે ‘ગ્રીનવોશિંગ’ નામનો મોટો ટ્રેન્ડ ચાલે છે. અબજો રૂપિયાનું પ્રદૂષણ ફેલાવતી મોટી પ્રોડક્શન કંપનીઓ પબ્લિક ઈમેજ સુધારવા માટે પોતાના પેકિંગ પર ‘ઇકો-ફ્રેન્ડલી’ અથવા ‘૧૦૦% નેચરલ’ ના લેબલ લગાવી દે છે અને પ્રદૂષણ રોકવાના અસલી પગલાં ભરવાથી બચી જાય છે. આપણી આંખ સામે ચાલતો આ એક કાનૂની આર્થિક ખેલ છે.
ઈકોલોજિકલ ડેટ-ડે : અર્થશાસ્ત્ર અને પર્યાવરણનો એક નિયમ છે કે કુદરત આપણને દર વર્ષે વાપરવા માટે જેટલા સંસાધનો (પાણી, શુદ્ધ હવા, જંગલો) આપે છે, તે ભારત પોતાના નિર્ધારિત સમય કરતાં ૩ મહિના વહેલા વાપરી નાખે છે. એટલે કે, દર વર્ષે ઓગસ્ટ મહિના પછી આપણે જે પણ સંસાધનો વાપરીએ છીએ, તે આપણે આપણી આવનારી પેઢીના હિસ્સામાંથી ‘ચોરી’ કરીને વાપરી રહ્યા છીએ!
