પત્નીએ ગૃહક્લેશમાં આપઘાત કરતાં પતિએ પણ એસિડ ગટગટાવ્યું
- અઢી વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા’તા : માસૂમ બાળકે માતાની છત્રછાયા ગુમાવતાં અરેરાટી
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા પાસે સત્યનારાયણનગરમાં પરિણીતાએ ગૃહકલેશમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ આઘાતમાં આવી પતિને પણ મેંગો માર્કેટ પાસે પહોંચી એસીડ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર અર્થે ખસેડાયો હતો. જેથી માસૂમ બાળકે માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ગમગીની પ્રસરી જવા પામી છે.
બનાવની વિગતો મુજબ લાખના બંગલા પાસે સત્યનારાયણનગરમાં રહેતા કવિતાબેન મોહીતભાઇ રાઠોડ (ઉ.વ.23) નામના પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવામાં અરેરાટી મચી ગઇ છે. જ્યારે આ મામલે પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે,તેમના મોહીત સાથે અઢી વર્ષ પહેલા પ્રેમલગ્ન થયા હતા તેમને હાલ સંતાનમાં એક આઠ માસનો પુત્ર છે. હાલ કવીતાના દિલ્હી રહેતા માતા-પિતાને જાણ કરવામાં આવતા તેઓ રાજકોટ આવવા રવાના થયા હતા.
જ્યારે આ ઘટના બાદ આઘાતમાં સરી પડેલા કવિતાબેનના પતિ મોહીત મહેશભાઇ રાઠોડ (ઉ.28)એ આજે સવારે કુવાડવા રોડ મેંગો માર્કેટ પાસે એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓએ નેપાળી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બન્ને વચ્ચે માથાકુટ થતા પત્નીએ આ પગલું ભરી લીધું હતું. આ ઘટના બાદ પોતે પણ આઘાતમાં પગલું ભરી લીધું હતું. હાલ તેને પોલીસે સારવારમાં ખસેડયા છે.