ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં પણ 9.72 ઈંચ ખાબક્યો
ગુજરાતમાં મેઘરાજાએ અતિશય રૌદ્ર અને તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે (31 જુલાઈ) દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના આંકડા મુજબ, ભરૂચના નેત્રંગમાં માત્ર 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
નેત્રંગમાં બે કલાકમાં જ તૂટી પડ્યો 113 મિ.મી. વરસાદ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં શુક્રવારે દિવસભર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જ્યાં 24 કલાકમાં કુલ ૨૬૮ મિ.મી. (10.55 ઇંચ) વરસાદ નોંધાયો છે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે:
સવારે 06:00 થી 08:00: 21 મિ.મી.
સવારે 08:00 થી 10:00: 70 મિ.મી.
સવારે 10:00 થી બપોરે 12:00: 24 મિ.મી.
બપોરે 12:00 થી 02:00: 40 મિ.મી.
બપોરે 02:00 થી 04:00 (આભ ફાટ્યા જેવી સ્થિતિ): માત્ર 2 કલાકમાં 113 મિ.મી. (લગભગ 4.45 ઇંચ) વરસાદ તૂટી પડ્યો.
આ અતિભારે વરસાદને કારણે નેત્રંગના નીચાણવાળા વિસ્તારો, રસ્તાઓ અને ખેતરો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા હતા.
ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ (આંકડાકીય માહિતી)
દક્ષિણ અને મધ્ય ગુજરાતના અન્ય તાલુકાઓમાં પણ આકાશી આફત યથાવત રહી છે:
સુરતનું ઉમરપાડા: સવારના 08:00 થી 12:00 ના માત્ર 4 કલાકમાં ભારે પૂર જેવી સ્થિતિ સાથે કુલ 247 મિ.મી. (9.72 ઇંચ) વરસાદ નોંધાયો.
સુરતનો અંબિકા/બારડોલી વિસ્તાર: કુલ 246 મિ.મી. (9.69 ઇંચ) વરસાદ, જેમાં બપોરે 12:00 થી 04:00 દરમિયાન એકસામટો 200 મિ.મી.થી વધુ વરસાદ ખાબક્યો.
ખેડાનું વાસો: સવારે 08:00 થી 10:00 વચ્ચે જ 124 મિ.મી. સાથે કુલ 242 મિ.મી. (9.53 ઇંચ) વરસાદ.
ડાંગનું સુબીર: કુલ 209 મિ.મી. (8.23 ઇંચ) વરસાદ.
ખેડાનું નડિયાદ: કુલ 201 મિ.મી. (7.91 ઇંચ) વરસાદ.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદના કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ: નવી તારીખો જાહેર
150થી વધુ તાલુકાઓમાં મેઘમહેર અને તંત્રની ચેતવણી
રાજ્યના આણંદ, નવસારી, તાપી, નર્મદા અને વલસાડ જિલ્લાના અનેક તાલુકાઓમાં 4 થી 7 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
નર્મદાના સાગબારા અને ગરૂડેશ્વરમાં સવારના પ્રથમ બે કલાકમાં જ 118-118 મિ.મી. તીવ્ર વરસાદ પડ્યો હતો.
અતિભારે વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત તથા નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થળોએ ખસવા સૂચના આપવામાં આવી છે.




