કચ્છમાં ડ્રગ્સના ગુનાઓમાં પકડાયેલા આરોપીની મિલકતો જપ્ત
ડ્રગ પેડલરોની આર્થિક કમર તોડવા ગુજરાત પોલીસનો આક્રમક અભિગમ
કુખ્યાત પેડલર પિંટુ યાદવની રૂ. ૨૨.૩૧ લાખની મિલકત જપ્ત
રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ગુજરાતમાંથી માદક પદાર્થોનું નેટવર્ક જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસે હવે અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલી બનાવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ સૂચનાઓ અને રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકના આદેશથી, પોલીસે માત્ર ડ્રગ્સ પકડવા અને ગુનેગારોને જેલભેગા કરવાથી આગળ વધીને કાળી કમાણીથી ઊભી કરેલી મિલકતો જપ્ત કરવાની ઝુંબેશ શરૂ કરી છે.
ડ્રગ્સનો ગેરકાયદે વેપાર કરીને વસાવેલી સ્થાવર અને જંગમ મિલકતોનો કાયદાકીય હિસાબ મેળવી તેને સરકારી ચોપડે જપ્ત કરવામાં આવી રહી છે. ગુનેગારો સામે SAFEMA/NDPSA (Smugglers and Foreign Exchange Manipulators Act, 1976) હેઠળ આકરી કાયદાકીય કાર્યવાહી કરીને તેમના આર્થિક નેટવર્કને ધ્વસ્ત કરવાનો આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગાંધીનગર મહાત્મા મંદિરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો CM ના હસ્તે પ્રારંભ
પૂર્વ કચ્છ પોલીસનું ઐતિહાસિક ઓપરેશન
આ ઝુંબેશના ભાગરૂપે, સરહદી રેન્જ ભુજ-કચ્છ આઈજીપી શ્રી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારની દેખરેખ હેઠળ SOG ટીમે એક મજબૂત કાયદાકીય કેસ તૈયાર કર્યો હતો. આ કેસ SAFEMA કોમ્પેટેન્ટ ઓથોરિટી, મુંબઈ ખાતે મોકલી આપીને સફળતાપૂર્વક મિલકત જપ્તીનો આદેશ મેળવવામાં આવ્યો છે.
છેલ્લા ૩ વર્ષમાં સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં SAFEMA હેઠળ મિલકત જપ્ત કરાવવાની પ્રથમ અને સૌથી સફળ કામગીરી પૂર્વ કચ્છ પોલીસે કરી બતાવી છે, જે રાજ્યના અન્ય તમામ પોલીસ યુનિટ્સ માટે એક રોલ મોડેલ સાબિત થઈ છે.
કુખ્યાત આરોપી પિંટુ યાદવની કાળી કમાણીથી ઊભી કરાયેલી મિલકત જપ્ત
ગાંધીધામ ખાતે અગાઉ ૩ થી ૪ વાર માદક પદાર્થોની હેરાફેરીમાં પકડાઈ ચૂકેલા કુખ્યાત આરોપી પિંટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ વિરૂદ્ધ SOG ટીમે આકરી કાર્યવાહી કરી છે. તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીએ પોતે અને પોતાની પત્નીના નામે ડ્રગ્સના કાળા કારોબારમાંથી મિલકતો વસાવી હતી. આરોપીએ રૂ. ૧૫ લાખનું મકાન અને ત્રણ વાહનો મળીને કુલ રૂ. ૨૨,૩૧,૦૦૦ ની મિલકત વસાવી હતી જેને કચ્છ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે.
ગુજરાત પોલીસની આ આક્રમક અને સીમાચિહ્નરૂપ કાર્યવાહીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યમાં ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં. ગુનેગારોને માત્ર જેલની હવા જ નહીં ખાવી પડે, પરંતુ તેમણે નશાના કારોબારમાંથી ઊભી કરેલી પાઈ-પાઈનો હિસાબ આપીને પોતાની મિલકતો પણ ગુમાવવી પડશે.
