નર્મદામાં મેઘરાજાનો કહેર: ડાયવર્ઝન ધોવાતા 7 ગામો સંપર્ક વિહોણા
નર્મદા જિલ્લામાં આખી રાતથી ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. દેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં નદી-નાળા છલકાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ-નર્મદા સરહદની મોહન નદી ગાંડીતૂર બનતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા. ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે 7 ગામોનો સંપર્ક તૂટ્યો છે અને ગુજરાત-મહારાષ્ટ્રનો વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે કરજણ ડેમમાં પાણીની આવક વધતા તંત્રે 2 ગેટ ખોલવાનો નિર્ણય કર્યો છે.
મોહન નદીમાં પૂર, માર્ગો બંધ થતા વાહનવ્યવહાર ઠપ્પ
આખી રાત પડેલા ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં જનજીવન પર ગંભીર અસર પડી છે.
ભરૂચ-નર્મદા સરહદ પર આવેલી મોહન નદીમાં પ્રથમ પૂર આવતા નદી ગાંડીતૂર બની હતી. જેના કારણે ગારદા-મોટા જાંબુડા માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો. આનાથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી.
ડેડિયાપાડાથી મુવી જતો માર્ગ પણ બંધ થઈ ગયો છે. નવા પુલના નિર્માણ દરમિયાન બનાવેલું ડાયવર્ઝન ભારે પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે, જ્યારે નવો પુલ હજુ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો નથી.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક બોલાવી બેઠક: રાહત કામગીરીના આદેશ
આ ઉપરાંત રાજપીપળાથી ડેડિયાપાડા થઈ મહારાષ્ટ્ર જતો મુખ્ય માર્ગ પણ બંધ થઈ જતા ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. સતત વરસાદ અને પૂરના કારણે ડેડિયાપાડા અને સાગબારા તરફ જતા લગભગ તમામ મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે.
ઉમરાણનું ડાયવર્ઝન ધોવાયું, 7 ગામોનો સંપર્ક તૂટ્યો, કરજણ ડેમના ગેટ ખોલાશે
ચિકદા તાલુકાના ઉમરાણ ગામનું ડાયવર્ઝન ભારે વરસાદમાં ધોવાઈ જતા આસપાસના 7 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ગ્રામજનો માટે દૈનિક જરૂરિયાત અને આરોગ્ય સેવાઓ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે.
બીજી તરફ ઉપરવાસમાં વરસાદને કારણે કરજણ ડેમમાં નવા પાણીની આવક નોંધાઈ છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તંત્ર દ્વારા બપોરે 12 વાગ્યે 2 ગેટ ખોલી અંદાજે 30 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સ્થિતિને જોતા તંત્ર દ્વારા લોકોને નદી, નાળા અને ડાયવર્ઝન નજીક ન જવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે. બચાવ અને રાહત ટીમોને પણ સતર્ક રાખવામાં આવી છે.
