J & Kનો પ્રવાસ 3 ગુજરાતી માટે જીવનનો છેલ્લો પ્રવાસ : ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના 1 વ્યક્તિનું આતંકી હુમલામાં મોત
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથની યાત્રા પહેલા થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. વડાપ્રધાન વિદેશ પ્રવાસ છોડીને ભારત પરત ફર્યા છે અને તપાસના આદેશ આપ્યા છે. મંગળવારે પહેલગામનાં બૈસરન વિસ્તારમાં ઘોડેસવાર પ્રવાસીઓનાં જૂથ ઉપર આતંકીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 26થી વધુ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આતંકીઓએ ગોળીબાર કર્યા બાદ ઘટનાના પ્રત્યદર્શીઓ ખૂબ જ ડરી ગયા હતા. વાત કરીએ ગુજરાતના મૃતકોની તો તેમ ભાવનગરના 2 અને સુરતના એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
સુરતના શૈલેષ કળથીયા મોત

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક પુરુષનો સમાવેશ થાય છે. અન્ય બે પ્રવાસીઓ ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. હુમલા બાદ સુરતના શૈલેષ કળથીયા (44) નું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ હતી. શૈલેષ મૂળ અમરેલીના હતા, પરંતુ તેમનો પરિવાર સુરતમાં સ્થાયી થયો હતો. બેંકની નોકરીને કારણે તે છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા હતા. મંગળવારે તેમનો જન્મદિવસ હતો, જેની ઉજવણી માટે તેઓ તેમની પત્ની શીતલ, પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે કાશ્મીર ગયા હતા. પહેલગામની બૈસરન ખીણમાં ઘોડેસવારી કરતી વખતે આતંકવાદી હુમલામાં શૈલેષને ગોળી મારતા તેમનું મોત થયું હતું. તેની પત્ની અને બાળકો સુરક્ષિત છે.
ભાવનગરના પિતા-પુત્રના મોત

દરમિયાન, બુધવારે સવારે, સુરક્ષા દળોએ ભાવનગરના કાલિયાબીડના રહેવાસી યતીશભાઈ પરમાર (45) અને તેમના પુત્ર સ્મિત (17) ના મૃત્યુની પુષ્ટિ કરી. આ હુમલામાં બંને ઘાયલ થયા હતા. યતીશભાઈ હેર સલૂન ચલાવતા હતા, જ્યારે સ્મિત 11મા ધોરણનો વિદ્યાર્થી હતો. ભાવનગરથી 20 લોકોનું એક જૂથ જમ્મુ અને કાશ્મીર ગયું હતું, જેમાં યતીશભાઈ, તેમના પત્ની કાજલબેન અને સ્મિતનો સમાવેશ થતો હતો.
મંગળવાર સાંજથી તેમનો સંપર્ક તૂટી ગયો હોવાનું કહેવામાં આવ્યું હતું. કાજલબેન તો સુરક્ષિત મળી આવ્યા, પણ યતીશભાઈ અને સ્મિતનું મોત નીપજ્યું. પરિવારના જણાવ્યા મુજબ, તે મોરારી બાપુની કથામાં હાજરી આપવા માટે શ્રીનગર ગયા હતા અને પછી પહેલગામની યાત્રા માટે ગયા હતા.
ગોળી ભાવનગર જૂથના સભ્ય વિનુભાઈ ડાભી નામના વૃદ્ધને વાગી ગઈ. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જૂથના બાકીના 17 લોકો સુરક્ષિત છે.
પ્રવાસીઓના મોત મામલે ઋષિકેશ પટેલનું નિવેદન
ગુજરાત સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “આ હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે બે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે. બાકીના પ્રવાસીઓને ટૂંક સમયમાં સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવશે.”