સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મે મહિનાના પહેલા કે બીજા સપ્તાહમાં યોજવા સરકારની વિચારણા: નવી 9 મનપામાં પ્રથમ વખત ચૂંટણી યોજાશે
રાજ્યની 15 મહાનગરપાલિકા, 32 જિલ્લા પંચાયતો અને 250 તાલુકા પંચાયતોની ચૂંટણીના ઢોલ ઢબુકવાના શરૂ થઈ ગયા હોય તેમ મે મહિનાના પહેલા કે બીજા સપ્તાહમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવા સરકારે વિચારણા હાથ ધરી છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પાયાની સુવિધાના કામો તાકીદે પૂર્ણ કરવા અને પ્રોજેક્ટના કામોનું 31 માર્ચ સુધીમાં લોકાર્પણ કરી દેવા મહાનગરપાલિકાને સૂચના આપી દેવાઈ છે. રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર સહિતની 15 મહાનગરપાલિકાઓની મુદત એક મહિનામાં પૂર્ણ થાય છે. આવી જ રીતે 31 જિલ્લા પંચાયતો અને 250 તાલુકા પંચાયતોની મુદત પણ એક માસમાં પૂર્ણ થાય છે.
વધુમાં નવો જિલ્લો બનેલા વાવ થરાદ જિલ્લાની નવી જિલ્લા પંચાયતની ચૂંટણી કરવા માટે જાહેરનામું બહાર પાડી દેવાયું છે. ત્યારે આ તમામ 15 મહાનગરપાલિકા, 32 જિલ્લા પંચાયત અને 250 તાલુકા પંચાયતની ચૂંટણી ક્યારે યોજાશે તેને લઈને જાત જાતની અટકળો ચાલી રહી છે. આ બધાની વચ્ચે `વોઇસ ઓફ ડે’ પાસે આવેલી આધારભૂત માહિતી મુજબ સરકારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મે મહિનાના પહેલા કે બીજા સપ્તાહમાં યોજવા વિચારણા હાથ ધરી છે.
જેના ભાગરૂપે દરેક મહાનગરપાલિકાના પ્રભારી મંત્રીઓએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા સંગઠનના મુખ્ય લોકો સાથે બેઠક યોજીને પાયાની સુવિધાના કામો 15 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવા પ્રોજેક્ટના જે મોટા કામો ચાલતા હોય તેને વહેલી તકે પૂર્ણ કરીને તેનું 31માર્ચ સુધીમાં લોકાર્પણ કરી દેવા સૂચના અપાઈ છે.
આ ઉપરાંત મે મહિનાના પહેલા, બીજા સપ્તાહમાં ચૂંટણી આવી રહી છે તેમ માનીને તૈયારીમાં રહેવા પણ જણાવાયું છે. આવી જ સૂચના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે જિલ્લા અને તાલુકાના ભાજપના હોદ્દેદારોને પણ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે. જેમાં આઠ તાલુકાનો સમાવેશ કરાયો છે. ત્યારે તે જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતની ચૂંટણી પણ આ સાથે જ યોજી દેવા સરકારે જાહેરનામું બહાર પાડી દીધું છે.
ગાંધીનગર-જૂનાગઢ મહાનગરપાલિકા બાકાત રહેશે
રાજ્યની આઠ જૂની મહાનગરપાલિકા પૈકી ગાંધીનગર અને જુનાગઢ મહાનગરપાલિકાની મુદત અન્ય છ મહાનગરપાલિકા કરતા એકથી દોઢ વર્ષ મોડી પૂરી થાય છે એટલે હાલ આ બંને મહાનગરપાલિકાની ચૂંટણી નહીં યોજાય.
નવી નવ મનપામાં પ્રથમ વખત ચૂંટણી યોજાશે
આ વખતે જૂની છ મહાનગરપાલિકા સાથે નવનિર્મિત નવ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાશે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી મોરબી, મહેસાણા, વાપી, આણંદ, નવસારી, સુરેન્દ્રનગર સહિતની નવ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની હોવાથી ત્યાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મે મહિનામાં ગરમી-વેકેશન મુખ્ય પડકાર બનશે
મે મહિનામાં જો ચૂંટણી આવશે તો ભાજપ માટે વેકેશન અને ઉનાળાની ગરમી બંને દુશ્મન બનશે. આ અંગે પ્રભારી મંત્રીની બેઠકમાં ભાજપના હોદ્દેદારોએ ગંભીરતાથી ધ્યાન પણ દોર્યું છે. જો કે સરકાર તો ચૂંટણી યોજવાની વિચારણા સાથે આગળ વધી રહી છે.
