રૂા.૫૦૦માં ગણેશજીની માટીની મૂર્તિ અપાશે: ઘરમાં જ કરી શકાશે વિસર્જન
મહાપાલિકા-સ્વનિર્ભર શાળાનું આવકારદાયક પગલુ: ક્યુઆર કોડ થકી રજિસ્ટે્રશન જરૂરી
દરેક શાળાએથી જ કરાશે વિતરણ, વ્હેલા તે પહેલાના ધોરણે કરાશે વિતરણ
આગામી સપ્ટેમ્બર મહિનામાં નાના-મોટા સૌ કોઈના પ્રિય એવા ગણેશજીનો મહોત્સવ આવી રહ્યો છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ ઘર-ઘરમાં ગણેશજીની નાની-મોટી મૂર્તિની સ્થાપના કર્યા બાદ એકથી લઈ અગીયાર દિવસ સુધી ભાવિકો ગણેશજીની ભક્તિમાં લીન થયેલા જોવા મળશે. કોઈ ઘર દ્વારા એક, કોઈ પરિવાર દ્વારા ત્રણ તો કોઈ પરિવાર દ્વારા પાંચ-સાત અથવા તો અગીયારમા દિવસે ગણપતિજીનું મૂર્તિનું ભારે હૈયે વિસર્જન પણ કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે રાજકોટમાં પ્લાસ્ટિક ઓફ પેરિસની ઓછી અને માટીના ગણેશજીની મૂર્તિ વધુમાં વધુ સ્થાપિત થાય તે માટે મહાપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એક આવકારદાયક નિર્ણય લઈને રૂા.૫૦૦માં મૂર્તિનું વિતરણ કરવામાં આવશે જેથી લોકો પોતાના ઘરમાં જ મૂર્તિનું વિસર્જન કરી શકશે.
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં મેયર ડૉ.નેહલ શુક્લએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીના સંકલ્પને સાકાર કરવા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહાપાલિકા સતત વિવિધ જનજાગૃતિ અભિયાનો હાથ ધરી રહી છે. ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ ભગવાન ગણેશજીની પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિઓનું જળાશયોમાં વિસર્જન કરવાથી માછલાઓના મૃત્યુ થાય છે સાથે સાથે પાણી પણ દૂષિત થઈ રહ્યું હોય આ હાનિને અટકાવવા માટે માટીની મૂર્તિઓનો ઉપયોગ સમયની માંગ બની રહ્યો છે. આ પહેલ દ્વારા વધુમાં વધુ નાગરિકો ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે અને ભગવાન ગણેશજીની મૂર્તિના વિસર્જન પછી પણ પર્યાવરણને કોઈ નુકસાન પ પહોંચે તે માટે અંદાજે એક ફૂટ ઉંચાઈની ઉચ્ચ ગુણવત્તાનીમાટીની શ્રી ગણેશ ભગવાનની મૂર્તિ `નહીં નફો, નહીં નુકસાન’ના ધોરણે માત્ર રૂા.૫૦૦ના ટોકનદરે ઉપલબ્ધ બનાવવામાં આવશે.
આ પણ વાંચો: આપણી લાગણીઓનું રિમોટ સ્ક્રીનના પીક્સેલમાં છે!
આ મૂર્તિઓ સંપૂર્ણપણે કુદરતી માટીમાંથી તૈયાર કરવામાં આવી હોવાથી ઘરમાં જ ટબની અંદર સરળતાથી વિસર્જિત થઈ જાય છે. આ માટે સેલ્ફ ફાયનાન્સ શાળાનો સહયોગ મળી રહ્યો હોય મહાપાલિકા દ્વારા કોઈ પ્રકારનો ખર્ચ કરવામાં આવ્યો નથી. લોકોએ માટીના ગણેશજીની મૂર્તિ લેવા માટે ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે. સ્કેન કર્યા બાદ તેમાં મોબાઈલ નંબર આપવાનો રહેશે. રજિસ્ટે્રશન થઈ ગયા બાદ લોકોને મૂર્તિ ક્યારે લઈ જવી તેની વિગત પણ આપવામાં આવશે.
