જે અનુભવીએ છીએ તે સર્ચ નથી કરતા પણ જે સર્ચ કરીએ છીએ તેવું અનુભવવા લાગીએ છીએ. ટૂંકમાં, આપણે સૌ કાચા કાનના છીએ.
કલ્પના કરો કે તમે ઉદાસ છો. દરેક બીજા માણસની જેમ ડિપ્રેશન જેવું તમને લાગે છે. ડાઉન ફિલ થાય છે અને મૂડ આવતો નથી. તમે હાથમાં મોબાઈલ લો છો અને ઈન્ટરનેટ પર કંઈક વાંચવાનું કે જોવાનું શરૂ કરો છો. તમને લાગે છે કે તમે માત્ર તમારો ટાઈમપાસ કરી રહ્યા છો અથવા દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની ‘માહિતી’ મેળવી રહ્યા છો. પણ મનોવિજ્ઞાનનો એક નવો અભ્યાસમાં એવા તારણ પર આવ્યો છે કે —આપણી ઉદાસી આપણા સર્ચને કંટ્રોલ કરે છે, અને પછી એ સર્ચ કરેલું કન્ટેન્ટ આપણી ઉદાસીને વધુ ઘેરી બનાવે છે! આ માહિતી મેળવવાની જિજ્ઞાસા નથી, પણ ‘રિસર્ચ’ ના નામે ચાલતું એક ખાનગી ઈમોશનલ લૂપ છે, જેમાં આપણે આપણી જાતને જ ગોળ-ગોળ ફેરવીને ખતમ કરી રહ્યા છીએ. આજના સમયનો આ સૌથી મોટો મનોવૈજ્ઞાનિક ખતરો કે જોખમ કહી શકાય.
જ્યારે આપણે સોશિયલ મીડિયા કે ગૂગલના આલ્ગોરિધમની વાત કરીએ છીએ, ત્યારે મોટાભાગે આપણે મશીનને જ ગાળો આપીએ છીએ કે તે આપણને ખરાબ વસ્તુઓ બતાવે છે. પરંતુ તાજેતરમાં પ્રતિષ્ઠિત જર્નલ ‘નેચર’ માં એક રિસર્ચ પબ્લિશ થયું, જેણે સાબિત કરી દીધું કે આલ્ગોરિધમ કરતા વધુ વાંક આપણી પોતાની સાયકોલોજીનો છે. ૧,૧૪૫ લોકો પર થયેલા ૪ અલગ-અલગ સ્ટડીઝમાં સંશોધકોને ઇન્ટરનેટ બ્રાઉઝિંગ અને માણસની માનસિક સ્થિતિ વચ્ચે એક ભયાનક ‘દ્વિ-માર્ગીય સંબંધ’ (Bidirectional relationship) જોવા મળ્યો.
આ પણ વાંચો: સીમાંકન અને મહિલા અનામત બિલ માટે સંસદના ત્રીદિવસીય વિશેષ સત્રની દરખાસ્ત
ઉદાસીનો વળતો પ્રહાર: ‘સર્ચ’ અને ‘મૂડ’ નું વિષચક્ર
આ સ્ટડીનું તારણ એકદમ સચોટ છે: જ્યારે માણસનો મૂડ ખરાબ હોય છે, ત્યારે તે અજાણતા જ વધુ નેગેટિવ (નકારાત્મક) મટીરીયલ સર્ચ કરે છે અથવા તેના પર ક્લિક કરે છે. અને જ્યારે તે આ નેગેટિવ કન્ટેન્ટ વાંચે છે, ત્યારે તેનો મૂડ પહેલાં કરતા પણ વધુ ખરાબ થઈ જાય છે!
એક ડરેલો માણસ ઇન્ટરનેટ પર સતત આવનારા સંકટો, બીમારીઓ કે આર્થિક મંદીના સમાચારો શોધે છે. એક દિલ તૂટેલો દેવદાસ સતત દગાબાજી, બેવફાઈ કે નિરાશાથી ભરેલા ગીતો, શાયરીઓ અને વિડીયો જુએ છે. જે માણસ રાજકીય રીતે ગુસ્સે ભરાયેલો છે, તે ઇન્ટરનેટના ખૂણે-ખૂણેથી એવા જ લેખો શોધી લાવશે જે સાબિત કરતા હોય કે આખો દેશ કે સભ્યતા હવે વિનાશના આરે છે. આખી પ્રક્રિયામાં માણસને એવો જ ભ્રમ રહે છે કે તે ‘હકીકત’ શોધી રહ્યો છે, જ્યારે કે વાસ્તવમાં તે પોતાની જ બીમારીને ખોરાક આપી રહ્યો હોય છે!
એવો ઓરડો, જેની બારીઓ માત્ર ‘વાવાઝોડા’ તરફ ખુલે છે.
આ સાયકોલોજીને સમજવા જેવી છે. જ્યારે તમે દુઃખી હોવ છો, ત્યારે તમારું મગજ એ દુઃખને ‘વેલિડેટ’ (સાચું ઠેરવવા) માટેના પુરાવાઓ શોધવા લાગે છે. ઇન્ટરનેટ પર સર્ચ કરનારને લાગે છે કે તે દુનિયાની વાસ્તવિકતાનો તાગ મેળવી રહ્યો છે, પરંતુ હકીકતમાં તે પોતાની આસપાસ એક એવો કાચનો ઓરડો ચણી રહ્યો છે, જેની દરેક બારી માત્ર અને માત્ર એક જ ‘વાવાઝોડા’ તરફ ખુલે છે.
જ્યારે તમે આ ઓરડાની બહાર જોવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમને બધે જ તબાહી, નિરાશા અને બેવફાઈ જ દેખાય છે, કારણ કે તમે બારીઓ જ એવી ગોઠવી છે! આલ્ગોરિધમ તો માત્ર તમારો ગુલામ છે; તમે તેને જેવો ઈશારો કરો છો, તે તમારી આસપાસ એવી જ દીવાલો ચણી આપે છે. એટલે જ, આજના સમયમાં આપણે કોઈ સોશિયલ મીડિયા ‘ફીડ’ ના માત્ર દર્શક નથી, આપણે તેના ‘સહ-સર્જક’ (Co-creators) છીએ.
ઇન્ટરનેટ સુધી પહોંચેલું આપણું ઓવરથિંકિંગ
એક સમય હતો જ્યારે અફસોસ, ગિલ્ટ કે નકારાત્મક વિચારો (જેને સાયકોલોજીમાં Rumination કહેવાય છે) માત્ર માણસના દિમાગની અંદર કેદ રહેતા હતા. માણસ થોડીવાર વિચારે, પછી તેને બીજું કોઈ કામ આવી જાય કે કોઈ મિત્ર મળી જાય એટલે તે વિચારોનું ચક્ર તૂટી જતું.
પરંતુ, ઇન્ટરનેટ અને સ્માર્ટફોને આ ‘ઓવરથિંકિંગ’ ને અનલિમિટેડ રીડિંગ મટીરીયલ (અમર્યાદિત ખોરાક) આપી દીધું છે! હવે તમારી ઉદાસી ક્યારેય એકલી નથી પડતી. તમે રાત્રે ૨ વાગ્યે જાગીને તમારી નિરાશાને અનુરૂપ કંઈ પણ સર્ચ કરો, ઇન્ટરનેટ તમને લાખો આર્ટિકલ્સ અને વિડીયો પીરસી દેશે, જે તમને ખાતરી કરાવશે કે “હા, તું સાચો છે, દુનિયા ખરેખર બહુ ખરાબ જગ્યા છે.” આ ડિજિટલ મટીરીયલ માણસના મગજને ક્યારેય હીલ (સાજા) થવા દેતું નથી.
આ ‘લૂપ’ ને તોડવાનો એકમાત્ર રસ્તો
‘નેચર’ ના આ જ રિસર્ચમાં એક બહુ આશાસ્પદ વાત પણ કહેવામાં આવી છે. રિસર્ચરોએ જ્યારે હસ્તક્ષેપ કરીને (Intervention) અમુક યુઝર્સની બ્રાઉઝિંગ પેટર્ન બદલાવી અને તેમને બળજબરીથી પોઝિટિવ કે તટસ્થ કન્ટેન્ટ જોવાની ફરજ પાડી, તો થોડા જ સમયમાં તેમના ઈમોશનલ સ્ટેટ (ભાવનાત્મક સ્થિતિ) માં જબરદસ્ત સુધારો જોવા મળ્યો!
આનો સીધો અર્થ એ છે કે તમારા મૂડની સ્વીચ કોઈ કંપનીના સર્વર રૂમમાં નહીં, પણ તમારા પોતાના હાથમાં રહેલા ‘સર્ચ બાર’ માં છે. આગામી વખતે જ્યારે તમે હતાશ કે ગુસ્સામાં હોવ, ત્યારે તમારો અંગૂઠો મોબાઈલ પર કઈ વસ્તુ પર ક્લિક કરે છે તેના પર એક સેકન્ડ માટે ધ્યાન આપજો. જો તમે ઝેર સર્ચ કરશો, તો સ્ક્રીનમાંથી ઝેર જ બહાર આવશે. તમારી ડિજિટલ ફીડ એ તમારા મગજનું જ પ્રતિબિંબ છે; જો અરીસામાં ચહેરો ખરાબ દેખાતો હોય, તો અરીસો સાફ કરવાને બદલે ચહેરો ધોવાની શરૂઆત કરવી પડે!
ડીપ-વેબ સાયકોલોજી
કન્ફર્મેશન બાયસ (Confirmation Bias): મનોવિજ્ઞાનનો આ નિયમ કહે છે કે માણસ હંમેશા એવી જ માહિતી શોધે છે, વાંચે છે અને શેર કરે છે, જે તેની પહેલેથી જ બંધાયેલી માન્યતાઓને ટેકો આપતી હોય. જો તમને લાગે છે કે ‘દુનિયા સ્વાર્થી છે’, તો તમારું મગજ ઇન્ટરનેટ પરથી એવા જ ૧૦ કિસ્સાઓ શોધી લાવશે જે આ વાતને સાબિત કરતા હોય.
ડૂમસ્ક્રોલિંગ (Doomscrolling): ખરાબ સમાચારોની કોઈ અસર આપણા પર સીધી ન થવાની હોય, છતાં પણ સતત દુર્ઘટનાઓ, યુદ્ધો કે આર્થિક પતનના સમાચારો સ્ક્રોલ કરતા રહેવાની આદતને ‘ડૂમસ્ક્રોલિંગ’ કહેવાય છે. માનવ મગજ ઉત્ક્રાંતિથી જ ખતરાઓ પ્રત્યે વધુ આકર્ષાય છે (Survival Instinct), અને મીડિયા આ જ નબળાઈનો વેપાર કરે છે.
ધ ઈકો-ચેમ્બર ઇફેક્ટ (Echo Chamber Effect): જ્યારે તમે સોશિયલ મીડિયા પર માત્ર તમારા જેવા જ વિચારો ધરાવતા લોકોને ફોલો કરો છો, ત્યારે તમે એક ‘ઈકો-ચેમ્બર’ (પડઘો પડતો રૂમ) બનાવી લો છો. અહીં તમે જે બોલો છો, તે જ અવાજ થોડીવાર પછી વધુ મોટો થઈને તમારી પાસે પાછો આવે છે અને તમને ભ્રમ થાય છે કે “આખી દુનિયા આવું જ વિચારે છે!”
