સુરતમાં થોડા દિવસ પહેલા તબીબ સાથે છેતરપીંડીની ઘટના સામે આવી હતી જેમાં જૂનાગઢના જે.કે.સ્વામી સહિત સાત લોકો દ્વારા કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી. જમીનમાં રોકાણ કરાવવાના નામે ઠગાઈ આચારી હોવાના આક્ષેપ સાથે સ્વામી સહિત સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આ મામલે જે.કે.સ્વામીનો વિડીયો સામે આવ્યો છે જેમાં પોતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાના સ્વામી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે .
સુરતમાં વરાછાના ડોક્ટર સાથે સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે ઠગાઇ થઈ છે. જૂનાગઢ મંદિરના મહંત જે.કે.સ્વામી અને તેમના મળતિયાઓ પર છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો ત્યારે આ મામલે જે.કે.સ્વામીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે તબીબ દ્વારા ખેડૂતને રૂપિયા આપ્યા છે,જે રૂપિયા ફસાતા પોતાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. મેં ક્યારેય તબીબ પાસે રૂપિયા લીધા જ નથી. સાધુ હોવાથી મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે.
વધુમાં સ્વામીએ કહ્યું હતું કે મારી વિરુદ્ધ અગાઉ પણ ઇકોસેલમાં ફરિયાદ કરવામાં આવી હતી. લાગવગ અને રૂપિયાના જોરે મારા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. મોટા માણસોને સાથે રાખી અને ગુંડા તત્વો દ્વારા મને ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મારા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી સમાજ અને સંપ્રદાયમાં બદનામ કરવામાં આવ્યો છે. મારા આશ્રમ પણ હું જઇ શકતો નથી. સરકાર અને ન્યાયતંત્ર પાસે મને ન્યાયની અપેક્ષા છે.