બગોદરા-સનાથલ હાઈવે 6-7 ફૂટ પાણી ભરાતાં બંને બાજુ બંધ!
સૌરાષ્ટ્ર જનારા વાહનચાલકો સાવધાન: ચાંગોદર પાસે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા બગોદરા-સનાથલ હાઈવે તાત્કાલિક અસરથી બંને બાજુ બંધ કરી દેવામાં આવ્યો છે અને 40 થી 50 કિમી લાંબા વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરાયા છે.
6 થી 7 ફૂટ પાણી ભરાતાં હાઈવે બંધ કરવાનો નિર્ણય
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદને કારણે ચાંગોદર નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર પાણી ભરાતાં અનેક વાહનો ફસાયા હતા.
એસ.પી. ઓમ પ્રકાશ જાટે માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાઈવે પર કેટલીક જગ્યાઓએ 6 થી 7 ફૂટ જેટલું ઊંડું પાણી ભરાઈ ગયું છે, જેથી કોઈ પણ વાહન ત્યાંથી પસાર થઈ શકે તેમ નથી. હાલ ફસાયેલા વાહનોને સુરક્ષિત બહાર કાઢવા અને વધુ કોઈ અકસ્માત ન થાય તે માટે બગોદરાથી સનાથલ સુધીનો આખો હાઈવે કામચલાઉ ધોરણે બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે.
વાહનચાલકો માટે જાહેર કરાયેલા વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ
પાણી ન ઓસરે ત્યાં સુધી પ્રશાસન દ્વારા નીચે મુજબના વૈકલ્પિક રસ્તાઓ (Diversion Routes) ઉપયોગમાં લેવા અપીલ કરવામાં આવી છે. આ ડાયવર્ઝન મૂળ રસ્તા કરતા અંદાજે 40 થી 50 કિલોમીટર લાંબા રહેશે:
અમદાવાદથી રાજકોટ તરફ:➡️ સનાથલ સર્કલ ➡️ એક્સપ્રેસવે ➡️ વેજલકા ➡️ બગોદરા
સૌરાષ્ટ્રથી અમદાવાદ તરફ: ➡️ બગોદરા ➡️ વેજલકા ➡️ એક્સપ્રેસવે ➡️ એસ.પી. રિંગ રોડ
ઉત્તર સૌરાષ્ટ્ર / સુરેન્દ્રનગર તરફ જવાનો વૈકલ્પિક રસ્તો:
જે વાહનચાલકોને સીધા આગળ વધવું હોય તેઓ વિરમગામ અને સુરેન્દ્રનગર થઈને પોતાનો પ્રવાસ આગળ ધપાવી શકશે.
વાહનચાલકોને પ્રશાસનની વિનંતી
હાઈવે પર પાણી ભરાયેલા હોવાથી ખોટો જોખમ ન ખેડવા અને પોલીસ દ્વારા આપવામાં આવેલા ડાયવર્ઝન રૂટનો જ ઉપયોગ કરવા માટે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.
