હાર્ટબીટ થંભાવતી ભારત પાકિસ્તાનની મેચ બાદ મુંબઇ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખનું હૃદય બેસી ગયું
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વચ્ચે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમોલ કાલેનું ન્યૂયોર્કમાં હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. T20 વર્લ્ડ કપ 2024માં રવિવારે (9 જૂન) ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 6 રનથી મજબૂત વિજય નોંધાવ્યો હતો. પરંતુ આ મેચ દરમિયાન મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખનું નિધન થતા ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભારત-પાકિસ્તાનનો મેચ જોવા અમેરિકા આવેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના પ્રમુખ અમોલ કાલેનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે સ્ટેડિયમમાં બેસીને આ મેચ જોઈ રહ્યા હતા ત્યારે મેચ બાદ તેની તબિયત લથડી હતી અને હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયું હતું.
અમોલ સંદીપ પાટીલને હરાવીને બન્યા હતા MCAનાં પ્રમુખ
અમોલ કાલે દેવેન્દ્ર ફડણવીસના નજીકના ગણાતા હતા. તમને જણાવી દઈએ કે અમોલ એમસીએ અધિકારીઓ સાથે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આ શાનદાર મેચ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.
અમોલ કાલે ગયા વર્ષે જ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના પ્રમુખ બન્યા હતા. બીસીસીઆઈના ખજાનચી આશિષ શેલાર અને દેવેન્દ્ર ફડણવીસના નજીકના અમોલ કાલેએ અધ્યક્ષ પદની ચૂંટણીમાં સંદીપ પાટીલને હરાવ્યા હતા.
રોમાંચક મેચમાં ભારતનો પાકિસ્તાન સામે વિજય
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ લો સ્કોરિંગ હતી. જેમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને 120 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ 7 વિકેટ ગુમાવીને માત્ર 113 રન જ બનાવી શકી અને 6 રનથી મેચ હારી ગઈ. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન સામે 8 મેચમાં ભારતની આ 7મી જીત હતી.
આ જીતનો હીરો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ રહ્યો, જેણે 14 રન આપીને 3 વિકેટ લીધી. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. તેના સિવાય હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.