રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ જ ઉડશે ?? વિદેશી ફ્લાઈટ માટે સુવિધા જ નથી
રાજકોટની ભાગોળે હિરાસર પાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નામે એરપોર્ટ ઓથોરિટીએ બધાની આંખે પાટા જ બાંધ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલમાં એરપોર્ટનું જે ટર્મિનલ છે તે હંગામી છે અને નવું બંધાઈ રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હેન્ડલ કરી શકે તેમ નથી તેથી ત્યાંથી પણ ડૉમેસ્ટિક ફ્લાઈટ જ ઉડશે તેવી જાહેરાત થઈ છે. જો ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઓપરેટ કરવી હશે તો ટર્મિનલ બાંધવું પડશે અને તેનું આયોજન અત્યારે કાગળ ઉપર છે. આમ, રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામ આપી દેવામાં આવ્યું છે પણ અહીંથી વિદેશી ફ્લાઈટ નજીકના ભવિષ્યમાં શરૂ થાય તેવા કોઈ એંધાણ દેખાતા નથી. આવી સ્થિતિમાં રાજકોટ જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રની પ્રવાસી જનતા અન્યાયની લાગણી અનુભવી રહી છે.
ઈન્ટરનેશનલ એરપોર્ટ (માત્ર કાગળ ઉપર) શરૂ થયું ત્યારથી લઈ આજ સુધી કોઈને કોઈ વિવાદમાં જ રહ્યું છે. આ એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત વર્ષે ૨૭ જૂલાઈએ કરવામાં આવ્યું હતું. હજુ ઉદ્ઘાટનને એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યાં લોકોની આશા ધૂળધાણી થઈ જવા પામી છે. આ એરપોર્ટને ઈન્ટરનેશનલ નામ અપાયા બાદ અહીંથી દુબઈ, બેંગકોક, થાઈલેન્ડ સહિતના દેશોની ફ્લાઈટ સૌથી પહેલાં શરૂ થશે અને આ ફ્લાઈટ કાયમી ટર્મિનલ તૈયાર થઈ ગયા બાદ મળવા લાગશે તેવી મસમોટી જાહેરાત એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા કરી દેવામાં આવી હતી. જો કે હવે આ બધું કાગળ ઉપર જ રહેશે કેમ કે જે ટર્મિનલ તૈયાર થઈ રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે સૌથી જરૂરી એવી કસ્ટમ્સ, ઈમિગ્રેશન સહિતના સુવિધાથી સજ્જ થઈ શકે તેમ ન હોવાનું ખુદ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહ સ્વીકારી ચૂક્યા છે.
સરળ શબ્દોમાં કહીએ તો આવનારા થોડા વર્ષ તો રાજકોટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ભૂલી જ જવી પડશે કેમ કે તેના માટે નવું ટર્મિનલ બાંધવું પડશે અને નવા ટર્મિનલ માટેનું કામ હજુ સુધી કાગળ ઉપર જ રહેવા પામ્યું છે ! એકંદરે જૂના એરપોર્ટ ઉપર જે સુવિધા મળતી હતી તે જ સુવિધા નવા એરપોર્ટ ઉપર જ લોકોને મળશે પરંતુ તેના માટે ૩૨ કિલોમીટરનું અંતર કાપવું પડશે ! અત્યારે જે ટર્મિનલ બની રહ્યું છે તે ૧૫ ઑગસ્ટ સુધીમાં તૈયાર થઈ જશે પરંતુ તેના ઉપરથી પણ ડૉમેસ્ટિક ફ્લાઈટ જ ઉડાન ભરશે. અગાઉ એવો નિર્ણય લેવાયો હતો કે નવું ટર્મિનલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એમ બન્ને ફ્લાઈટનું સંચાલન કરશે પરંતુ હવે તેને બે ભાગમાં વહેંચી દેવાનું નક્કી કરાયું છે.
એરપોર્ટ ડિરેક્ટરે શું કહ્યું ?
રાજકોટ એરપોર્ટના ડિરેક્ટર દિગંત બોરાહે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતુંકે હાલના નવા બંધાઈ રહેલા ટર્મિનલમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં હોવી જોઈએ તેવી સુવિધાનો અભાવ છે તેથી તેના માટે નવું ટર્મિનલ બનાવવું પડશે. આ માટેનું પ્લાનિંગ ચાલું છે. હાલના નવા ટર્મિનલનું બાંધકામ ઑગસ્ટમાં પૂરું થઈ જશે અને ત્યારપછી તેમાં ડૉમેસ્ટિક ફ્લાઈટ જ ઓપરેટ થશે.
ડોમેસ્ટિક જ કરવું હતું તો જૂનું એરપોર્ટ શું ખોટું હતું ?
વ્યવસાયના કામ માટે નિયમિત રીતે વિદેશ પ્રવાસ ખેડતાં એક ઉદ્યોગપતિએ કહ્યું હતું કે જો હિરાસર એરપોર્ટને ડોમેસ્ટિક જ રાખવું હતું તો જૂનું એરપોર્ટ શું ખોટું હતું ? હિરાસર એરપોર્ટ શરૂ થયા પછી સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે. અત્યારના ડૉમેસ્ટિક એરપોર્ટમાં જોઈએ એવી સુવિધા નથી. નવું ટર્મિનલ બની રહ્યું છે પણ તેનું કામ ક્યારે પૂરું થશે તે કોઈ સચોટ રીતેકહી શકતુંનથી. વારંવાર મુદત પાડવામાં આવે છે. એરપોર્ટના મામલામાં તો એરપોર્ટ ઓથોરિટીએ રાજકોટ જ નહીં પણ સૌરાષ્ટ્રના પ્રવાસીઓને મૂરખ બનાવ્યા છે.
૧૪૦૦ કરોડથી વધુનો ખર્ચ માત્ર ડૉમેસ્ટિક એરપોર્ટ પાછળ ?
ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે કેન્દ્ર સરકારે ૧૪૦૦ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે ત્યારે આ તમામ ખર્ચ માત્ર ડૉમેસ્ટિક એરપોર્ટ પાછળ જ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે જ્યારે ટર્મિનલ બની રહ્યું હતું ત્યારે કોઈનું ધ્યાન નહીં ગયું હોય કે અહીં કસ્ટમ્સ, ઈમિગ્રેશન, એરલાઈન્સ ઑફિસ સહિતની સુવિધા શક્ય નથી ? આ બાબતે એરપોર્ટ ડાયરેક્ટરે પણ મૌન સેવી લીધું હતું !