રાજકોટમાં શાળા-કોલેજોના ગેરકાયદે માંચડા હટાવાશે : કલેકટર
કોંગ્રેસની રજુઆત બાદ મહાનગર પાલિકા અને રૂડા સહિતના વિભાગોના અધિકારીઓને તપાસના આદેશ
રાજકોટ : રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ ફાયર સેફટીનો મુદ્દો ફરી સળગ્યો છે ત્યારે બુધવારે કોંગ્રેસે શહેરની શાળા-કોલેજોમાં ગેરકાયદેસર ખડકાયેલા હંગામી પતરાના સ્ટ્રક્ચરો હટાવવામાં મામલે રજુઆત કરતા જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, મહાનગર પાલિકા અને રૂડા સહિતના વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી આવા ગેરકાયદેસરના માંચડા હટાવવામાં આવશે.
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે રજુઆત કરવા આવેલ કોંગ્રેસના આગેવાનોએ રાજકોટની અનેક શાળા, કોલેજો, કલાસીસોમાં કાયદાની છટકબારીનો ઉપયોગ કરી લોખંડ અને પતરાના ગેરકાયદેસર હંગામી સ્ટ્રક્ચર મંજૂરી વગર ઉભા કરી નાખ્યા હોવાની તસ્વીરી પુરાવા સાથે રજુઆત કરી આવા ગેરકાયદે બાંધકામો તાકીદે હટાવી મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે પગલાં લેવા માંગ કરી હતી અન્યથા આવા શાળા-કોલેજના સંકુલમાં જનતારેડની ચીમકી આપી હતી.
વધુમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી સમક્ષ કોંગ્રેસે રજુઆત કરતા જણાવ્યું હતું કે લાખો રૂપિયા ફી વસુલતી શાળા-કોલેજો અને જ્યાં નાના નાના ભૂલકાને બેસાડવામાં આવે છે તેવા અનેક સ્થળોએ બાળકોની જિંદગી નફાખોરોએ જોખમમાં મૂકી હોવા અંગે જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરતા તેઓ કોઈ પગલાં ભરતા ન હોય ત્યારે ગેમઝોન જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે કડક પગલાં ભરવા માંગ ઉઠાવતા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આ ગંભીર બાબતે મહાનગર પાલિકા અને રૂડાના અધિકારીઓને તપાસ કરી પગલાં ભરવા ખાતરી આપી હતી.