જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા `આંધળા’ ખર્ચની તપાસ કરવા કમિટીની રચના
જવાબદાર સામે પગલાં, રેઈટ કોન્ટ્રાક્ટની થશે સમીક્ષા: મેયર
નિયમ વિરુદ્ધ પૈસા ચૂકવાયા હશે તો પરત લેશું: મ્યુ.કમિશનર
તપાસ પારદર્શી થાય તે માટે ડિમોલિશનના ઈન્ચાર્જને કમિટીમાં સ્થાન નહીં
બાકી બિલના ચૂકવણામાં `ગોલમાલ’ જણાશે તો તાત્કાલિક પેમેન્ટ અટકાવી દેવાશે: પ્રજાના પૈસા વેડફાવા નહીં દેવાય તેની બાહેંધરી આપતા અધિકારીઓ-પદાધિકારીઓ
રાજકોટના ઐતિહાસિક કહી શકાય તેવા જંગલેશ્વર ડિમોલિશનમાં કરવામાં આવેલા બેફામ ખર્ચના પડઘા રાજકોટથી લઈ ગાંધીનગર સુધી પડ્યા છે ત્યારે દિવસેને દિવસે આ વિવાદ વકરતો જતો હોય આખરે મેયર ડૉ.નેહલ શુક્લએ એક્શનમાં આવી સોમવારે ઉઘડતી કચેરીએ જ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને આ ખર્ચની ઝીણવટભરી તપાસ કરવા માટે પત્ર લખતાં જ કલાકોમાં જ તપાસ સમિતિની રચના કરી દેવામાં આવી હતી ડિમોલિશન દરમિયાન થયેલા ચૂકવણા અને બાકી બિલ સહિતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે મેયર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે જો અધિકારીઓ દ્વારા ખોટું કરવામાં આવ્યું હશે તો પગલાં લેતાં અચકાશું નહીં સાથે સાથે વર્ષોથી રેઈટ કોન્ટ્રાક્ટ આપી એજન્સીને મોઢે માંગ્યા પૈસા આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે તેને અટકાવવા માટે તમામ રેઈટ કોન્ટ્રાક્ટની સમીક્ષા કરવામાં આવશે. જ્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવી બાહેંધરી અપાઈ કે નિયમ વિરુદ્ધ જઈને વધુ પૈસા ચૂકવાયા હશે પરત લેવામાં આવશે.
આ પણ વાંચો: CBSE માં ધો.7 થી 9 માં બે વિદેશી ભાષાઓ રાખવાનો વિકલ્પ યથાવત
મેયરના આદેશ બાદ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને ખર્ચની તપાસ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. કમિટી દ્વારા તટસ્થ અને પારદર્શી તપાસ થાય તે માટે કમિટીમાં ડિમોલિશનના ઈન્ચાર્જ રહેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પથિક પટેલને પણ સ્થાન આપવામાં આવ્યું ન્હોતું. આ કમિટી દ્વારા બને એટલી ઝડપથી તપાસ રિપોર્ટ તૈયાર કરી મેયરને સુપ્રત કરવામાં આવશે. રિપોર્ટના આધારે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે બાકી બિલના ચૂકવણામાં ગોલમાલ થયાનું જાણવા મળશે તો પેમેન્ટ અટકાવી દેવામાં આવશે. એકંદરે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા એવી બાહેંધરી આપવામાં આવી હતી કે પ્રજાના પૈસા વેડફાવા દેવાશે નહીં.
અત્યાર સુધી એક પણ કમિટીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું નથી !
રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સર્જાયો ત્યારે પણ જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરના વડપણ હેઠળ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જો કે એ સમયે જવાબદારો સામે પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવ્યા હોય સસ્પેન્ડ કરવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો ત્યારે સમિતિ દ્વારા બીજી વખત આવું ન બને તે દિશામાં કોઈ સચોટ કાર્યવાહી અને આ દૂર્ઘટના પાછળ આખરે જવાબદાર કોણ તેની તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું ન્હોતું અને કમિટીની રચના થયા બાદ તે ક્યારે વિખેરાઈ ગઈ તેનો પણ કોઈને ખ્યાલ આવ્યો ન્હોતો કે ન તો રિપોર્ટ જોવા મળ્યો. આ જ પ્રમાણે ઈન્દીરા સર્કલ પાસે સિટી બસ હેઠળ ચાર લોકો કચડાઈ ગયા બાદ જ આ જ પ્રકારે કમિટીની રચના કરવામાં આવી હતી ત્યારે આ કમિટીએ પણ કશું ઉકાળી લીધું ન્હોતું ત્યારે હવે જંગલેશ્વર ડિમોલિશન ખર્ચની તપાસ કરવા માટે કમિટી રચવામાં આવી છે ત્યારે તેનું પણ પાછલી કમિટી જેવું જ વર્તન રહેશે કે પછી ખરેખર તપાસ કરવામાં આવશે તે આવનારો સમય બતાવશે.
