શહેર ભાજપ મહામંત્રી વલ્લભ દૂધાત્રા નકશો લઈને કચેરીએ દોડી આવ્યા !
`અંદર’ની બાજુએ પ્લોટ ખાલી પડ્યો હોવા છતાં રોડટચ `મોંઘેરા’ પ્લોટ ઉપર ટાઉન પ્લાનિંગ શાખાએ આવાસનો નિર્ણય લેતાં દોડધામ
ટૂંક સમયમાં શહેર ભાજપ પ્રમુખ સાથે બેઠક કરી ટેન્ડર રદ્દ કરવા સરકાર સુધી `છેડો’ લંબાવાશે
કટારિયા ચોકડીએ ૧૬૭ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો આઈકોનિક બ્રિજ ૨૦૨૭માં બની જવાનો છે. આ ઉપરાંત બ્રિજની આસપાસના વિસ્તારોના રસ્તા પહોળા કરવા સહિતની કાર્યવાહી ઝડપી કરવામાં આવી છે ત્યારે એક વર્ષ બાદ આ રોડનો `જમાનો’ આવશે તે વાત નિશ્ચિત બની ગઈ છે. આ બધાની વચ્ચે મહાપાલિકા દ્વારા ગત ૧૪ મેએ કાલાવડ રોડ પર ૧૫૦ ફૂટ રિંગરોડ કે જે કટારિયા ચોકડીથી એકદમ નજીક છે ત્યાં આવાસ યોજના બનાવવાનો નિર્ણય લઈ ટેન્ડર પ્રસિદ્ધ કર્યું હતું. ટેન્ડર ભરવાની મુદ્દત પણ પૂર્ણ થઈ ચૂકી છે બરાબર ત્યારે જ આ આવાસ યોજનાને લઈને ભાજપમાં જ વિરોધ શરૂ થઈ જતાં ટૂંક સમયમાં આ મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
મહાપાલિકા દ્વારા કટારિયા ચોકડી નજીક ૨ રૂમ, હોલ, કિચન સહિતની સુવિધા ધરાવતી ૫૭૬ આવાસની યોજના બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના રોડ સાઈડ મતલબ કે મોકાની જગ્યાનો પ્લોટ છે ત્યાં બનાવવાનું ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા નક્કી કરવામાં આવ્યું હોય સોમવારે ઉઘડતી કચેરીએ જ શહેર ભાજપ મહામંત્રી વલ્લભ દૂધાત્રા નકશા સહિતનું સાહિત્ય લઈને સેન્ટ્રલ ઝોન કચેરીએ દોડી આવ્યા હતા અને અહીં પદાધિકારીઓ સાથે બંધબારણે બેઠક પણ કરી લીધી હતી.
આ પણ વાંચો: ભારત માટે અમેરિકન અપાચે એટેક હેલિકોપ્ટર સહિતના પેકેજને મંજૂરી
બેઠકમાં એવી ચર્ચા કરવામાં આવી હતી કે જ્યાં આ યોજના આકાર પામવાની છે તે રોડ સાઈડનો પ્લોટ છે એટલા માટે ત્યાં યોજના ન બનાવીને તેને અંદરની બાજુએ પણ મહાપાલિકાના પ્લોટ આવેલા છે ત્યાં બનાવવી જોઈએ. જો કે હાલ આ યોજનાનું ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયું હોય અને તેને ભરવાની મુદ્દત પણ પૂર્ણ થઈ ગઈ હોવાથી તાત્કાલિક અસરથી કોઈ નિર્ણય લેવાઈ શકે તેમ ન હોવાથી હવે ટૂંક સમયમાં આ મહત્ત્વના મુદ્દે શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે સહિતના હોદ્દેદારો સાથે બેઠક કર્યા બાદ ટેન્ડર રદ્દ કરવા માટે સરકાર સુધી છેડા લંબાવવામાં આવી શકે છે. એકંદરે ભાજપમાં જ આવાસ યોજના માટે પસંદ કરાયેલા પ્લોટને લઈને વિરોધ થઈ રહ્યો હોય સ્થળ બદલાવવામાં આવી શકે છે !
ભવિષ્યમાં કોઈ મોટી હોટેલ કે અન્ય પ્રોજેક્ટ માટે પ્લોટ `અનામત’ રાખવાનો મત !
આ અંગે બેઠકમાં હાજર સૂત્રોએ જણાવ્યું કે જે પ્લોટ પર આવાસ યોજના બનવાની છે તે અત્યંત મોકાનો પ્લોટ છે. આવાસ યોજના બનાવવા સામે કોઈ વિરોધ નથી પરંતુ તે બનાવવા માટે જે પ્લોટ પસંદ કરાયો છે તેના સામે વિરોધ છે. જ્યાં યોજના બનવાની છે તે પ્લોટને ભવિષ્યમાં કોઈ મોટી હોટેલ કે અન્ય પ્રોજેક્ટ માટે `અનામત’ રાખીને અંદરની બાજુએ પણ મહાપાલિકાના ઘણા પ્લોટ આવેલા છે ત્યાં યોજના બનાવવામાં આવે તો લોકોને ઘરનું ઘર મળી જ રહેશે સાથે સાથે મહાપાલિકાને પણ પ્લોટનું વેચાણ કરીને નોંધપાત્ર આવક થઈ શકે છે.
