રાજકોટમાં ઓછા વરસાદે ચિંતા કરાવી: આજી-ન્યારીમાં ૩૪ દિ’ ચાલે તેટલુ જ પાણી
સરકારે ૮૦૦માંથી ૫૭૫ MCFT પાણી જ આપતા મહાપાલિકાએ બાકી રહેલુ ૨૨૫ MCFT પાણી તાત્કાલિક છૂટું કરવા લખ્યો પત્ર
હજુ ચોમાસું પૂર્ણ થયું ન હોવાથી ડેમ ભરાવાની આશા જરૂર છે પરંતુ જો વરસાદ ન પડે તો છેલ્લી ઘડીએ દોડવું ન પડે તે માટે આગોતરું આયોજન
નર્મદાના પાણી પેટે ચૂકવવાનું બિલ ૧૬૦૦ કરોડને પાર
રાજકોટ શહેર કે ઉપરવાસમાં હજુ જોઈએ તેવો વરસાદ વરસ્યો ન હોવાને કારણે મહાપાલિકા તંત્ર તોળાઈ રહેલા જળસંકટને કારણે ચિંતામાં મુકાઈ ગયું છે. એકંદરે વરસાદ ચિંતા કરાવી રહ્યો હોય તેમ હવે શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં ૩૪ દિવસ ચાલે તેટલુ જ પાણી બચ્યું હોવાથી મહાપાલિકા દ્વારા સરકારને પત્ર લખી તાત્કાલિક પાણી મોકલવા ભલામણ કરવામાં આવી છે.
મહાપાલિકા દ્વારા ચોમાસા પહેલાં જ સરકાર પાસે બન્ને ડેમમાં ૪૦૦-૪૦૦ એમસીએફટી નર્મદા નીર ઠાલવવા માટે પત્ર લખ્યો હતો. આ પત્રના અનુસંધાને સરકાર દ્વારા આજી-૧ ડેમમાં ૩૦૦ અને ન્યારી-૧ ડેમમાં ૨૭૫ એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું હતું. આ પછી વરસાદ શરૂ થતાં ડેમમાં આવક પણ શરૂ થઈ જતા નર્મદા નીર લેવાનું બંધ કરી દેવાયું હતું. એકંદરે ઓગસ્ટની શરૂઆત સુધીમાં બન્ને ડેમમાં વરસાદી પાણીની માતબર આવક થઈ જતી હતી પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાઈ ગયો હોવાથી ડેમમાં ઉપલબ્ધ જળરાશિ ઘટવા લાગી હોવાથી મહાપાલિકા દ્વારા સરકારને ૨૨૫ એમસીએફટી પાણી તાત્કાલિક છૂટું કરવા માટે અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો: સતત ત્રીજા દિવસે સોનામાં 1500 અને ચાંદીમાં 8500નો ઉછાળો
હાલ આ અનુરોધનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી પરંતુ ટૂંક સમયમાં સરકાર દ્વારા નર્મદા નીરની સપ્લાય શરૂ કરવામાં આવી શકે છે. જો કે આગામી દિવસોમાં વરસાદની આગાહી હોવાથી તંત્ર અને સરકાર બન્ને તેની રાહ જોઈ રહ્યા છે. જો આગાહી પ્રમાણે વરસાદ નહીં વરસે તો પછી નર્મદા નીર આપવાનું શરૂ કરી દેવામાં આવશે. વોટર વર્કસ શાખાના જણાવ્યા પ્રમાણે ૨૯ ફૂટના આજી-૧ ડેમમાં અત્યારે ૨૨.૨૩ ફૂટ અને ૨૫.૧૦ ફૂટની ઉંડાઈ ધરાવતા ન્યારી-૧ ડેમમાં ૧૬.૨૦ ફૂટ પાણી બચ્યું છે. પાણીના દૈનિક વિતરણને ધ્યાનમાં રાખી બન્ને ડેમમાં દસ સપ્ટેમ્બર સુધી ચાલે તેટલુ પાણી બચ્યું હોય બને એટલી ઝડપથી નર્મદા નીર શરૂ કરવા પત્ર લખવામાં આવ્યો છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે મહાપાલિકા તંત્રની પાણી પેટેનું દેણું વધી રહ્યું છે. મહાપાલિકા સરકાર પાસેથી વેચાતું નર્મદા નીર લઈને શહેરમાં વિતરણ કરે છે ત્યારે સરકારને આજની તારીખે પાણીપેટે ૧૭૦૦ કરોડથી વધુ ચૂકવવાના બાકી હોવાનું પણ જાણવા મળ્યું છે.
