પ્રતિકૂળ હવામાનના કારણે 6 દિવસ સુધી થંભી ગયેલી આસ્થાની દોરી ફરી જોડાઈ ગઈ. જમ્મુ-કાશ્મીરમાં વાદળો વિખેરાતા જ શ્રદ્ધાળુઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા – શ્રી માતા વૈષ્ણો દેવી અને શ્રી અમરનાથ યાત્રા બંને ફરી શરૂ. કટરાથી ભવન સુધી “જય માતા દી”ના નારા અને જમ્મુ બેઝ કેમ્પમાં “હર-હર મહાદેવ”ના ગગનભેદી નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું. લાંબી રાહ જોયા બાદ યાત્રા શરૂ થતાં હજારો યાત્રાળુઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.
વૈષ્ણોદેવીના દ્વાર ખુલ્યા, કટરામાં ઉત્સવનો માહોલ
હવામાન સામાન્ય થતાં જ શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે કટરાથી ભવન સુધીની યાત્રા ફરી શરૂ કરવાની જાહેરાત કરી. સમાચાર મળતાની સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કટરાના નોંધણી કેન્દ્ર પર પહોંચી ગયા. નોંધણી બાદ ભક્તોએ “જય માતા દી”ના જયઘોષ સાથે યાત્રા શરૂ કરી. સમગ્ર કટરા શહેર ભક્તિથી ગુંજી ઉઠ્યું. હોટલો, બજારો અને સ્થાનિક વેપારીઓ માટે પણ આ રાહતના સમાચાર હતા, કારણ કે યાત્રા બંધ રહેવાથી સ્થાનિક વ્યવસાય પર અસર થઈ હતી. વહીવટીતંત્રે યાત્રા સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે તમામ વ્યવસ્થા ગોઠવી દીધી છે.
આ પણ વાંચો: અમદાવાદની અનંત યુનિવર્સિટી પાછળના ખેતરો બન્યા તળાવ, ઘુમા-મણિપુરમાં જળબંબાકાર
અમરનાથ માટે સૌથી મોટો જથ્થો રવાના, સુરક્ષા કડક
અમરનાથ યાત્રા પણ ફરી પાટે ચડી છે. હવામાન સાફ થતાં જ જમ્મુથી 223 વાહનોમાં 6,269 યાત્રાળુઓનો સૌથી મોટો સમૂહ બાલતાલ માટે રવાના કરવામાં આવ્યો. છેલ્લા 6 દિવસથી જમ્મુના વિવિધ બેઝ કેમ્પમાં રોકાયેલા યાત્રાળુઓ માટે આ મોટી રાહત હતી. વહીવટીતંત્રે યાત્રા દરમિયાન સુરક્ષા, તબીબી સુવિધાઓ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખાસ બંદોબસ્ત કર્યો છે. યાત્રાળુઓએ પણ કહ્યું કે રાહ લાંબી હતી, પરંતુ સલામતી સૌથી મહત્વની છે.
મહત્વની સૂચનાઓ અને માશેલ યાત્રા સ્થગિત
જ્યારે અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા શરૂ થઈ ગઈ છે, ત્યારે કિશ્તવાર જિલ્લાની માતા માશેલ યાત્રા હાલ 27 જુલાઈ સુધી સ્થગિત રહેશે. વહીવટીતંત્રે તમામ યાત્રાળુઓને અપીલ કરી છે કે તેઓ યાત્રા શરૂ કરતા પહેલા હવામાનની સ્થિતિ અને સત્તાવાર માર્ગદર્શિકા તપાસે. નોંધણી, ઓળખપત્ર અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અને સલામતીના નિયમોનું કડક પાલન કરવા જણાવ્યું છે.
હવામાન અનુકૂળ રહેશે તો આગામી દિવસોમાં યાત્રા સરળતાથી ચાલુ રહેવાની આશા છે. વહીવટીતંત્ર યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
