અમદાવાદની અનંત યુનિવર્સિટી પાછળના ખેતરો બન્યા તળાવ, ઘુમા-મણિપુરમાં જળબંબાકાર
સતત ધોધમાર વરસાદે અમદાવાદના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારને બેહાલ કરી દીધા છે. જ્યાં ગઈકાલ સુધી લીલાછમ ખેતરો હતા ત્યાં આજે તળાવ દેખાઈ રહ્યા છે. ડ્રોનના દ્રશ્યોમાં અનંત નેશનલ યુનિવર્સિટી પાછળનો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર વહેતા પાણી અને છલકાતા તળાવોએ સાબિત કરી દીધું કે મેઘરાજા આ વખતે રોકાવાનું નામ જ નથી લઈ રહ્યા.
ખેતરો ડૂબ્યા, ખેડૂતોની ચિંતા વધી
અનંત નેશનલ યુનિવર્સિટીની પાછળના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘુમાથી મણિપુરને જોડતા મુખ્ય રોડની બંને બાજુના ખેતરો જળમગ્ન બનતા સ્થાનિક ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભારે ચિંતા વ્યાપી છે. અવકાશી દ્રશ્યોમાં પણ અહીં પાણીનો વ્યાપ કેટલો મોટો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ વિસ્તારમાં આવેલ સંસ્કારધામ પાછળ AUDA દ્વારા નવનિર્મિત તળાવ પણ વરસાદી પાણીથી કાંઠા સુધી છલકાઈ ગયું છે. તળાવમાંથી પાણી બહાર આવવાને કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભરાવાની શક્યતા વધી છે.
આ પણ વાંચો: LPG ટેન્કર ‘દિશા’ પર મિસાઇલ હુમલો: 20% ઓઈલ-ગેસ સપ્લાયને અસર, 28 ભારતીય નાવિકો સુરક્ષિત
રસ્તા બંધ, લોકોને ભારે હાલાકી
સતત વરસાદને કારણે અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના તમામ આંતરિક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ઘુમા-મણિપુર રોડ પર પણ ઠેર-ઠેર પાણી ભરાયા હોવાથી વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગે હજુ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી હોવાથી વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.
