‘દેશની શિક્ષણ વ્યવસ્થા નષ્ટ થઈ ગઈ છે’, 65 વિદ્યાર્થીઓની આત્મહત્યા પર અભિજિત દીપકે એ ઉઠાવ્યા સવાલ
દેશની સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા અપાઘાત કરવાના બનાવો હવે ચિંતાનો વિષય બનતા જઈ રહ્યા છે. આઈઆઈટી (IIT) દિલ્હીના એક યુવાન વિદ્યાર્થીના દુઃખદ અવસાન બાદ રાજકીય અને સામાજિક મોરચેથી શિક્ષણ પ્રણાલી તેમજ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ પર સવાલો ઉભા થવા લાગ્યા છે.
IIT દિલ્હીના વિદ્યાર્થી ઋષિકેશ કુમારનું દુઃખદ અવસાન
આઈઆઈટી દિલ્હીના ૩૧ વર્ષીય વિદ્યાર્થી ઋષિકેશ કુમારનું ૨૨ ઓગસ્ટે લેક્ચર હોલ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળેથી નીચે પડવાથી કરૂણ મોત થયું હતું. આ ઘટના બાદ કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના કન્વીનર અભિજિત દીપકે દેશની વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે આપણું શિક્ષણ તંત્ર સંપૂર્ણપણે તબાહ થઈ ચૂક્યું છે. આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ માટે દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત જજ મુક્તા ગુપ્તા અને એઈમ્સ (AIIMS)ના પ્રોફેસર પ્રતાપ શરણની એક વિશેષ સમિતિ પણ રચવામાં આવી છે.
પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ૬૫ વિદ્યાર્થીઓની આત્મહત્યા પર ચિંતા
અભિજિત દીપકે દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની આંતરિક વાસ્તવિકતા સામે લાવતા કહ્યું કે, માત્ર IIT જેવી સંસ્થાઓમાં જ વિતેલા વર્ષોમાં ૬૫ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે. આ ભયજનક આંકડાઓ દર્શાવે છે કે વિદ્યાર્થીઓ અત્યારે ભારે માનસિક તણાવ અને દબાણ હેઠળ જીવી રહ્યા છે. શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓને ભય મુક્ત વાતાવરણ પૂરું પાડવું અને તેમને માનસિક સહારો આપવો અત્યંત અનિવાર્ય બની ગયું છે.
બેંક લોન અને દેવા માફીના મુદ્દે સરકાર પર પ્રહારો
શિક્ષણ વ્યવસ્થા ઉપરાંત અભિજિત દીપકે ઉદ્યોગપતિ સુભાષ ચંદ્રાના ૨૨,૦૦૦ કરોડ રૂપિયાના જંગી દેવાને સેટલ કરીને માત્ર ૬ કરોડ રૂપિયા કરી દેવાના મુદ્દે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું દેશના કોઈ સામાન્ય નાગરિકને કે વિદ્યાર્થીને એજ્યુકેશન લોન ચૂકવવામાં આવી કોઈ વિશેષ રાહત મળે છે ખરી? સામાન્ય માણસને લોન ભરપાઈ ન થાય તો કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ થવા સામે તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
શૈક્ષણિક સંસ્થાઓમાં વધતા જતા માનસિક તણાવ અને વિદ્યાર્થીઓના આપઘાતના બનાવો સમાજ અને સરકાર બંને માટે લાલબત્તી સમાન છે. જો સમયસર શિક્ષણ પ્રણાલીમાં યોગ્ય સુધારાઓ અને કાઉન્સેલિંગની વ્યવસ્થાઓ નહીં ગોઠવાય, તો દેશના ભવિષ્ય સમાન તેજસ્વી યુવાનો ગુમાવવાનો વારો આવતો રહેશે.
