ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’
ગયા મંગળવારે, ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ દિલ્હીની NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) કોર્ટમાં એક ૧૪૪ પાનાનો ચુકાદો વંચાયો, જેણે ભારતના બેન્કિંગ અને કોર્પોરેટ જગતમાં સન્નાટો પાથરી દીધો. ચુકાદો એવો હતો કે ઝી એન્ટરટેઇનમેન્ટના સ્થાપક સુભાષ ચંદ્રા, જેમના પર બેંકોના ૨૨,૦૦૦ કરોડ રૂપિયાના દેવાનો દાવો હતો, તેઓ હવે માત્ર ૬.૫ કરોડ રૂપિયા ચૂકવીને આ તમામ દેવામાંથી કાનૂની રીતે મુક્ત થઈ જશે! અર્થશાસ્ત્રની ભાષામાં આને ૯૯.૯૭ ટકાનો ‘હેરકટ’ (નુકસાન) કહેવાય છે. સામાન્ય માણસ જો બેંકનો એક હપ્તો ચૂકી જાય તો રિકવરી વાળા તેના ઘરના દરવાજે ઊભા રહી જાય છે, પણ એક અબજોપતિ જ્યારે હજારો કરોડ ડુબાડે છે, ત્યારે સિસ્ટમ તેને કેવી રીતે બચાવે છે તેનું આ સૌથી ક્લાસિક ઉદાહરણ છે. આ માત્ર બેંકોના ડૂબેલા નાણાંની વાત નથી. આ એક એવા માણસની ઐતિહાસિક કરુણાંતિકા છે, જેણે આધુનિક ભારતને ટીવી જોતા શીખવ્યું હતું.
૧૯૯૦ નો એ દાયકો યાદ કરો. ભારતના ઘરોના ડ્રોઇંગ રૂમમાં માત્ર દૂરદર્શનનું નીરસ પ્રસારણ ચાલતું હતું. એ સમયે હરિયાણાના હિસારથી ૧૭ રૂપિયા ખિસ્સામાં લઈને દિલ્હી આવેલા એક યુવાને હોંગકોંગ જઈને એશિયાસેટ (AsiaSat) સેટેલાઇટનું ટ્રાન્સપોન્ડર ભાડે લેવા માટે વાર્ષિક ૫ મિલિયન ડોલરનો જુગાર ખેલ્યો હતો. એ યુવાન એટલે સુભાષ ચંદ્રા. તેમણે ઝી ટીવીની શરૂઆત કરી. ‘તારા’, ‘અંતાક્ષરી’, ‘સા રે ગા મા પા’ અને ‘હમ પાંચ’—આ માત્ર સિરિયલો નહોતી, પણ ભારતના મધ્યમ વર્ગનું નવું સાંસ્કૃતિક સરનામું હતું. સુભાષ ચંદ્રા એ સમયે ભારત માટે એ જ હતા, જે અમેરિકા માટે મીડિયા મુઘલ રુપર્ટ મર્ડોક હતા. ૨૦૧૭ માં એક સમયે તેમની અંગત સંપત્તિ ૪૫,૦૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવતી હતી.
તો પછી એવું તે શું બન્યું કે ૨૦૨૬ આવતા સુધીમાં દેશના આ સૌથી પ્રભાવશાળી ઉદ્યોગપતિએ કોર્ટમાં એવું કહેવું પડ્યું કે મારી પાસે હવે માત્ર ૩૧ કરોડ રૂપિયા જ બચ્યા છે અને દિલ્હીના એક બંગલા સિવાય મારી પાસે કશું જ નથી?
ગ્રીક સાહિત્યમાં એક પાત્ર છે ઈકારસ (Icarus), જેણે મીણની પાંખો લગાવીને સૂર્યની વધુ પડતી નજીક ઊડવાનો પ્રયાસ કર્યો અને છેવટે પાંખો ઓગળવાથી દરિયામાં ડૂબી ગયો. ભારતીય ઉદ્યોગજગતમાં સુભાષ ચંદ્રા સાથે બરાબર આવું જ થયું. ઝી નેટવર્ક એ રોકડીયો બિઝનેસ હતો. તેમાં રોજની જંગી આવક હતી. પણ ૨૦૦૦ ના દાયકામાં ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધાઓ) નો બૂમ આવ્યો. ચંદ્રાને લાગ્યું કે જો મીડિયામાં મારો સિક્કો ચાલે છે, તો હું રસ્તાઓ, સ્માર્ટ સિટીઝ અને સોલાર પાવરમાં પણ સફળ થઈશ.
આ પણ વાંચો: સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ
અહીં જ તેમની ગણતરી ઊંધી પડી ગઈ. મીડિયા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે જમીન-આસમાનનો ફેર છે. એકમાં રોજની કમાણી છે, બીજામાં વર્ષો સુધી પૈસા જમીનમાં દબાઈ રહે છે અને વળતર દાયકાઓ પછી મળે છે. હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ઊભા કરવા માટે ચંદ્રાએ બેંકો પાસેથી જંગી લોન લીધી અને એ લોનની ગેરંટી તરીકે તેમણે પોતાની સોનાનું ઈંડું આપતી મરઘી—એટલે કે ઝી એન્ટરટેઇનમેન્ટના પોતાના શેરો—ગીરવે મૂકી દીધા!
૨૦૧૮ માં જ્યારે દેશમાં IL&FS નું કૌભાંડ બહાર આવ્યું અને બજારમાંથી નાણાં ગાયબ થઈ ગયા, ત્યારે વિદેશી લેન્ડર્સ ગભરાયા. તેમણે ચંદ્રાને વધુ પૈસા જમા કરાવવા કહ્યું. ચંદ્રા પાસે રોકડ નહોતી. પરિણામે, લેન્ડર્સે નિર્દયતાથી ઝી ના શેરો શેરબજારમાં ઓપન માર્કેટમાં વેચી નાખ્યા. જે કંપની સુભાષ ચંદ્રાએ પોતાના લોહી-પરસેવાથી ઊભી કરી હતી, તેમાં તેમનો હિસ્સો ૪૨ ટકાથી ઘટીને સાવ નગણ્ય થઈ ગયો. રાતોરાત તેઓ પોતાના જ બનાવેલા મહેલમાં માલિકમાંથી માત્ર એક ભાડુઆત બનીને રહી ગયા.
અને હવે આ તાજેતરનો NCLT નો ચુકાદો જુઓ. આ કેસ ઝી કંપનીનો નહોતો, પણ સુભાષ ચંદ્રા પર વ્યક્તિગત રીતે ચાલી રહેલો ‘પર્સનલ ઇન્સોલ્વન્સી’ (નાદારી) નો કેસ હતો. તેમણે પોતાની કંપનીઓ માટે અંગત ગેરંટી આપી હતી. ઇન્ડિયાબુલ્સ અને અન્ય બેંકોએ તેમના પર ૨૨,૦૦૦ કરોડના દાવા માંડ્યા. સુભાષ ચંદ્રાની દલીલ એવી હતી કે અસલી દાવો માત્ર ૩૯૯૨ કરોડનો જ છે, કારણ કે બાકીની રકમ કંપનીઓએ ચૂકવી દીધી છે અથવા સેટલ થઈ ગઈ છે.
કોર્ટમાં બેંકોએ ભારે વિરોધ કર્યો કે ૬.૫ કરોડ જેવી ‘ભીખ’ સમાન રકમ લઈને અમે કેસ કેવી રીતે પાછો ખેંચી શકીએ? અગાઉ સુભાષ ચંદ્રાએ કર્મચારીઓના પગાર પોતાના ખિસ્સામાંથી ચૂકવ્યા હતા, એટલે તેમની અંગત સંપત્તિ ધોવાઈ ગઈ છે તેવી દલીલ તેમના વકીલોએ કરી. NCLT ની બેન્ચમાં પણ મતભેદ હતો, પણ છેવટે ત્રીજા જજે વ્યવહારુ રસ્તો કાઢ્યો. કોર્ટનું લોજિક સાવ સરળ હતું: જો સુભાષ ચંદ્રાને સત્તાવાર રીતે નાદાર જાહેર કરવામાં આવે, તો બેંકોના હાથમાં આ ૬.૫ કરોડ પણ નહીં આવે. એટલે જે મળે છે તે લઈને કેસ પૂરો કરો!
આ ચુકાદાથી સુભાષ ચંદ્રાને કાનૂની રાહત જરૂર મળી છે, તેઓ ફરીથી કોઈ નવો બિઝનેસ શરૂ કરી શકશે. પણ કોર્પોરેટ જગતમાં જે ચીજ સૌથી અમૂલ્ય છે—’શાખ’—તે કાયમ માટે ખતમ થઈ ગઈ છે. એક વિઝનરી ઉદ્યોગપતિ માટે આનાથી મોટી કોઈ સજા હોઈ શકે ખરી કે આવનારી પેઢીઓ તેને સેટેલાઇટ ટીવીના પિતામહ તરીકે યાદ રાખવાને બદલે, બેંકોના હજારો કરોડ ડુબાડનાર એક ડિફોલ્ટર તરીકે ઇતિહાસના પાનાઓમાં નોંધે? મહત્વાકાંક્ષા જ્યારે અહંકારમાં ફેરવાય છે, ત્યારે તે કેવો વિનાશ વેરે છે, તેનું આ સૌથી જીવંત અને હૃદયદ્રાવક ઉદાહરણ છે.
– અભિમન્યુ મોદી
