તમિલનાડુમાં ગૌ હત્યા પ્રતિબંધ સામે સર્વોચ્ચ અદાલતે આપ્યો સ્ટે
સર્વોચ્ચ અદાલતે સોમવારે મદ્રાસ હાઈકોર્ટના તે આદેશ પર સ્ટે આપ્યો છે, જેમાં તમિલનાડુ સરકારને બકરી ઈદની પૂર્વસંધ્યા સહિત વર્ષના કોઈપણ દિવસે રાજ્યમાં ગાય અને વાછરડાની હત્યા ન થાય તેની ખાતરી કરવા સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયની આગેવાની હેઠળની તમિલગા વેટ્ટ્રી કઝગમ (ટીવીકે) સરકારે હાઈકોર્ટના આદેશને પડકારતી વિશેષ અનુમતિ અરજી (એસએલપી) દાખલ કરી હતી.
રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં દલીલ કરી હતી કે રાજ્યના અમલમાં રહેલા કાયદા મુજબ ચોક્કસ શ્રેણીની ગાયોના વધને નિયત સ્થળોએ મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં કાયદાની જોગવાઈથી વિપરીત જતો ન્યાયિક આદેશ ટકી શકે નહીં. આ દલીલને ધ્યાનમાં લઈને સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના આદેશના અમલ પર હાલ પૂરતો સ્ટે આપ્યો છે. હવે આ મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં વિગતવાર સુનાવણી બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: સોફ્ટવેર એન્જિનિયરે સ્ત્રી મિત્રની હત્યા કર્યા પછી પોતે પણ કરી લીધો આપઘાત
શું કહ્યું હતું હાઈકોર્ટે?
મદ્રાસ હાઈકોર્ટે 27 મેના રોજ રાજ્ય સરકારને 1976ના સરકારી આદેશનો અમલ કરીને સમગ્ર તમિલનાડુમાં ગાય અને વાછરડાની હત્યા પર પ્રતિબંધ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં બંધારણના અનુચ્છેદ-48નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે રાજ્યની ફરજ ગાય, વાછરડા તેમજ દૂધાળ અને ખેતીમાં ઉપયોગી પશુઓની હત્યા રોકવાની છે. અદાલતે એમ પણ નોંધ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં વિશેષ સ્થાન ધરાવે છે, તેથી તેના સંરક્ષણને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
