ભારત પાણી રોકે તો યુદ્ધ કરવાની “નાપાક” રક્ષા મંત્રીની લુખ્ખી ધમકી
જળ સુરક્ષાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડી આલાપ્યો યુદ્ધનો રાગ
ઇન્ડસ જળસંધીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ વધુ તીવ્ર બન્યો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે રવિવારે ધમકીભર્યા સ્વરમાં જણાવ્યું કે જો ભારત ઇન્ડસ નદી પ્રણાલીના પાણીના પ્રવાહને રોકવાનો અથવા તેમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરશે અને તેનાથી પાકિસ્તાનની જળસુરક્ષાને ખતરો ઊભો થશે અને તો ઇસ્લામાબાદ ભારત સામે યુદ્ધનો રસ્તો અપનાવવામાં પણ અચકાશે નહીં.
ARY ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં આસિફે કહ્યું હતું કે પાણી પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષાનો અભિન્ન હિસ્સો છે અને તેની સાથે કોઈપણ પ્રકારની ચેડાં સહન કરવામાં નહીં આવે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ઇન્ડસ નદીનું પાણી પાકિસ્તાન સુધી જતું સંપૂર્ણપણે અટકાવવાની પ્રક્રિયા જૂન 2028 સુધી પૂર્ણ થઈ શકે તેવો સંકેત આપ્યો છે.ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતે 1960ની ઇન્ડસ જળસંધીને સ્થગિત કરી દીધી હતી.
આ પણ વાંચો: કતારના મુખ્ય ગેસ હબમાં ભીષણ વિસ્ફોટમાં 54 ઘાયલ; 18 લાપતા
ઇન્ડસ જળસંધી હેઠળ ઇન્ડસ નદી પ્રણાલીના આશરે 80 ટકા પાણીનો હિસ્સો પાકિસ્તાનને મળે છે. તેથી આ સંધી પાકિસ્તાનની ખેતી, સિંચાઈ વ્યવસ્થા અને અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતના નિર્ણય સામે પાકિસ્તાન સતત વાંધો ઉઠાવી રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સુધી પણ મામલો લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પાણી વગર પાકિસ્તાનની હાલત ખરાબ
પાકિસ્તાન પહેલેથી જ ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યું છે. દેશની મોટાભાગની ખેતી ઇન્ડસ નદી પ્રણાલી પર નિર્ભર છે અને પીવાના પાણીથી લઈને સિંચાઈ સુધીની જરૂરિયાતો માટે આ નદી જીવનરેખા સમાન છે. વધતી વસતી, ભૂગર્ભ જળના અતિશય ઉપયોગ, જૂની સિંચાઈ વ્યવસ્થા અને આબોહવા પરિવર્તનના કારણે પાણીની ઉપલબ્ધિ સતત ઘટી રહી છે. નિષ્ણાતોના મતે ઇન્ડસ નદીના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થાય તો પાકિસ્તાનના કૃષિ ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા અને અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે. આ જ કારણસર ઇસ્લામાબાદ જળસંધીના મુદ્દાને માત્ર પાણીનો નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન ગણાવી રહ્યું છે.
