ટ્રેનોના દુર્ગંધયુક્ત ટોયલેટથી 40%થી વધુ યાત્રીઓ હેરાન
ભયંકર બેદરકારીની ફરિયાદ
ભારતીય રેલવેની લાંબા અંતરની ટ્રેનોમાં સ્વચ્છતા અને સેનિટેશનની સ્થિતિ અંગે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના અહેવાલમાં ગંભીર ખુલાસા થયા છે. આ અહેવાલમાં ૨૦૧૮-૧૯થી ૨૦૨૨-૨૩ સુધીના સમયગાળાની સમીક્ષા કરવામાં આવી છે. 40% યાંત્રિકો ટોયલેટની અસહ્ય અવસ્થાથી હેરાન છે. બેદરકારી સામે યાત્રિકોમાં રોષ છે. સંસદમાં કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
૧૬ રેલવે ઝોનની ઓડિટ ઓફિસો દ્વારા પસંદ કરાયેલી ૯૬ ટ્રેનોમાં ૨,૪૨૬ ઓન-બોર્ડ યાત્રીઓના સર્વે પર આધારિત આ રિપોર્ટમાં જણાવાયું છે કે ૪૦ ટકાથી વધુ યાત્રીઓ ટોયલેટની સ્વચ્છતાથી અસંતુષ્ટ છે. આ ઉપરાંત ૫૦ ટકાથી વધુ યાત્રીઓ ઓન-બોર્ડ હાઉસકીપિંગ સર્વિસથી નાખુશ છે.
સર્વે કરાયેલા ૨,૪૨૬ યાત્રીઓમાંથી ૩૬૬ (લગભગ ૧૫%)એ ટોયલેટ કે વોશબેસિનમાં પાણીની અછતની ફરિયાદ કરી. ૨૦૨૨-૨૩માં રેલ મદદ એપ પર ટોયલેટ અને વોશબેસિનમાં પાણીની અછત અંગે એક લાખથી વધુ ફરિયાદો નોંધાઈ હતી.
આ પણ વાંચો: વી. કે. મૂર્તિના લેન્સમાંથી સર્જાયેલ ‘પ્યાસા’ નો અદ્રશ્ય જાદુ!
કારણો અને પ્રતિભાવ
કેગે અપૂરતું માનવબળ, સફાઈ સાધનોની અછત અને રેલવે અધિકારીઓ દ્વારા અનિયમિત મોનિટરિંગને મુખ્ય કારણો તરીકે ઓળખાવ્યા છે. બાયો-ટોયલેટનો અયોગ્ય ઉપયોગ અને પાણીની અછત પણ સમસ્યાને વધારે છે.
જોકે, ટોયલેટ સ્વચ્છતા સંબંધિત ૮૯ ટકા ફરિયાદો નિર્ધારિત સમયમાં ઉકેલાઈ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે, જે રેલવેની જવાબદારીનું સૂચક છે.
કેગે રેલવેને લાંબી મુસાફરી દરમિયાન માર્ગમાં કોચમાં પાણી ભરવાની વ્યવસ્થા મજબૂત બનાવવા, માનવબળ અને સાધનોની જોગવાઈ સુધારવા તેમજ યાત્રીઓને બાયો-ટોયલેટના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ અભિયાન ચલાવવાની ભલામણ કરી છે.
આ અહેવાલ લાંબા અંતરની મુસાફરી કરતા કરોડો યાત્રીઓની સ્વાસ્થ્ય અને સુવિધા પર રેલવેની સ્વચ્છતા વ્યવસ્થાની અસરને રેખાંકિત કરે છે.
