પાકિસ્તાનમાં લઘુમતિના ધર્મસ્થાનો પર જોખમ : પ્રાચીન ગુરુદ્વારા તોડી પડાયું
પુનઃસ્થાપન કરવાનું પ્રાંત સરકારનું આશ્વાસન
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફરુકાબાદમાં આવેલું અંદાજે 125 વર્ષ જૂનું ઐતિહાસિક ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા સાહિબ સ્થાનિક વેપારીએ જરૂરી એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) લીધા વિના તોડી પાડતાં શીખ સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે. ઘટનાને લઈને સ્થાનિક શીખોએ વિરોધ પ્રદર્શન કરતાં પંજાબ સરકાર હરકતમાં આવી હતી.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાન સરકારને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની તેમજ ગુરુદ્વારાના તોડી પાડવામાં આવેલા ભાગોનું વહેલી તકે પુનઃનિર્માણ કરવાની માંગ કરી છે. તેમણે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા ધાર્મિક અસહિષ્ણુતાના વાતાવરણનો અંત લાવવા પણ અપીલ કરી હતી.
આ પણ વાંચો: ચંદા ચોરી કાંડ: આરોપીઓના ઘરેથી જંગી રોકડ સાથે ડોલર પણ મળ્યા
બીજી તરફ, શીખોના વિરોધ બાદ પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે ઘટનાની નોંધ લીધી હતી. ત્યારબાદ પ્રાંતના લઘુમતી બાબતોના પ્રધાન રમેશ સિંહ અરોરાએ સ્થળની મુલાકાત લઈને ગુરુદ્વારાનું તાત્કાલિક પુનઃસ્થાપન કરાશે તેવી જાહેરાત કરી હતી. તેમણે જમીનની માલિકી અને કાનૂની સ્થિતિ અંગે તપાસના આદેશ આપતાં સમગ્ર ઘટનાનો તથ્યાધારિત અહેવાલ રજૂ કરવા પણ સૂચના આપી છે.
80 વર્ષથી બંધ હોવાનો વેપારીઓનો દાવો
ગુરુદ્વારાની આસપાસના સ્થાનિક વેપારીઓએ દાવો કર્યો છે કે આ ધર્મસ્થળ છેલ્લા અંદાજે 80 વર્ષથી ઉપયોગમાં નહોતું અને લાંબા સમયથી બંધ હાલતમાં હતું. આ દરમિયાન અનેક પરિવારો ત્યાં વસવાટ કરવા લાગ્યા હતા તેમજ આસપાસ દુકાનો પણ ઉભી થઈ ગઈ હતી. વેપારીઓનું કહેવું છે કે જો ગુરુદ્વારાના પુનઃસ્થાપન માટે સ્થળ ખાલી કરાવવામાં આવશે તો અનેક પરિવારો અને વેપારીઓનું સ્થળાંતર કરવું પડશે. તેમણે સરકારને અસરગ્રસ્તોને વૈકલ્પિક રહેઠાણ અને રોજગારની યોગ્ય વ્યવસ્થા કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
