અમેરિકાએ ઈરાન ઓઇલ ઉપરથી પ્રતિબંધ હટાવતાં ભારતને ઘી-કેળા
અમેરિકાએ ઈરાનના ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોના વેપાર પર લાગેલા પ્રતિબંધોમાં 60 દિવસની રાહત જાહેર કરતાં વૈશ્વિક ઊર્જા બજારમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી શકે છે. 21 ઓગસ્ટ સુધી માન્ય આ છૂટછાટ હેઠળ ઈરાનના ઓઇલના ઉત્પાદન, વેચાણ, પરિવહન, વીમા અને બેન્કિંગ સંબંધિત વ્યવહારોને મંજૂરી આપવામાં આવી છે. ઈરાને આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (IAEA)ના નિરીક્ષણો સ્વીકારવા અને વ્યાપક રાજદ્વારી ચર્ચામાં ભાગ લેવા સંમતિ આપ્યા બાદ અમેરિકાએ આ પગલું ભર્યું છે.
આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો ભારત જેવા મોટા ઓઇલ આયાતકાર દેશોને થઈ શકે છે. ભારત તેની જરૂરિયાતના આશરે 85 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં થતો દરેક વધારો દેશના આયાત ખર્ચ, ફુગાવો અને ઈંધણના ભાવને અસર કરે છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ભારતે મોટા પાયે ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ખરીદ્યું હતું, જ્યારે સાઉદી અરેબિયા, ઈરાક અને યુએઈ જેવા ગલ્ફ દેશો પણ ભારતના મુખ્ય સપ્લાયર રહ્યા છે.
આ પણ વાંચો: નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પર ખુલશે પંચર અને વાહન રિપેરની દુકાનો,
2018માં અમેરિકી પ્રતિબંધો લાગુ થતાં પહેલાં ઈરાન ભારતના અગ્રણી ઓઇલ સપ્લાયરોમાં સામેલ હતું. સ્પર્ધાત્મક ભાવ, અનુકૂળ ક્રેડિટ શરતો અને ઓછી પરિવહન કિંમતને કારણે ભારતીય રિફાઇનરીઓ ઈરાની ક્રૂડને પસંદ કરતી હતી. હવે અમેરિકાની આ રાહત બાદ ભારત માટે ફરી એકવાર ઈરાની ઓઇલ સપ્લાયનો વિકલ્પ ખુલ્લો થવાની શક્યતા ઉભી થઈ છે.
હોર્મુઝ પરિબળ પણ ભારત માટે સકારાત્મક
જોકે હાલની છૂટછાટ માત્ર 60 દિવસ માટે છે અને સીધી મોટી ખરીદી તરત શરૂ થવાની સંભાવના ઓછી છે, તેમ છતાં બજારમાં વધારાનો પુરવઠો આવવાની આશાએ ક્રૂડ ઓઇલના ભાવમાં દબાણ વધ્યું છે. વધુ પુરવઠો ઉપલબ્ધ થતાં ભારતને સસ્તું ઓઇલ મેળવવાની સાથે અન્ય સપ્લાયરો સામે ભાવતાલ કરવાની વધુ શક્તિ મળી શકે છે. બીજ તરફ હોર્મુઝની જળસંધીમાં તણાવ ઘટવાની સંભાવના પણ ભારત માટે સકારાત્મક માનવામાં આવે છે. ભારતની મોટી માત્રામાં ઓઇલ આયાત આ માર્ગેથી પસાર થાય છે. જો ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ઓછો રહે અને શિપિંગ સુરક્ષા મજબૂત બને તો વૈશ્વિક ઓઇલ પુરવઠો વધુ સ્થિર બની શકે છે. પરિણામે ભારતની આયાત કિંમતમાં રાહત, ફુગાવા પર નિયંત્રણ અને અર્થતંત્રને લાભ મળી શકે છે.
ભારતની ઓઇલ આયાત વર્ષે 100 અબજ ડોલરથી વધુ
ભારત વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ આયાતકાર દેશોમાંનો એક છે અને તેની કુલ જરૂરિયાતનો લગભગ 85 ટકા હિસ્સો આયાતથી પૂરો કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં થતો નાનો ફેરફાર પણ ભારતના આયાત બિલ પર અબજો ડોલરની અસર કરે છે. દેશનું વાર્ષિક ક્રૂડ ઓઇલ આયાત બિલ 100 અબજ ડોલરથી વધુ રહે છે. તેથી ઈરાનના ઓઇલને વૈશ્વિક બજારમાં ફરી પ્રવેશ મળવાથી કિંમતોમાં ઘટાડો થાય તો ભારતને આયાત ખર્ચ, ફુગાવો અને વિદેશી મુદ્રા ખર્ચમાં નોંધપાત્ર રાહત મળી શકે છે.
