ગ્રાહકોના સ્વાસ્થ્યને લઈ કેન્દ્ર સરકારનો નિર્ણય: પેકેજિંગ નિયમોમાં FSSAI એ કર્યો બદલાવ
આજના દોડધામ ભરેલા યુગમાં પેક્ડ ફૂડ અને જંક ફૂડ આપણી દિનચર્યાનો એક અવિભાજ્ય હિસ્સો બની ગયા છે, પરંતુ આ રેડીમેડ ખાણી-પીણી આપણા સ્વાસ્થ્ય પર કેવા ઘાતક પ્રહાર કરી રહી છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ગ્રાહકોની સુખાકારી અને જાગૃતિને પ્રાથમિકતા આપવા માટે હવે ખાદ્ય સુરક્ષા તંત્રે એક અત્યંત ક્રાંતિકારી અને કડક પગલું ભમ્યું છે, જેનાથી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે.
સુપ્રીમ કોર્ટમાં FSSAI નો એક્શન પ્લાન
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ એક મહત્વપૂર્ણ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ ફાફડા અને જંક ફૂડના શોખીનો માટે સરકારે આ પ્લાન રજૂ કર્યો છે. ‘3S એન્ડ અવર હેલ્થ સોસાયટી’ નામના એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજીની સુનાવણી દરમિયાન આ ખુલાસો થયો છે, જે ગ્રાહકોના મૂળભૂત અધિકારો સાથે સીધો જોડાયેલો છે.
ષટ્કોણ આકારમાં લાલ રંગની ચેતવણી
નવા પ્રસ્તાવિત નિયમો અનુસાર, જે પણ પેક્ડ ખાદ્ય પદાર્થોમાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ માત્રામાં ખાંડ, ચરબી કે મીઠું હશે, તેના પેકેટના ઉપરના ભાગે સ્પષ્ટ દેખાય તેવું લાલ રંગનું ચિહ્ન મૂકવું પડશે. ગ્રાહકો તેને સહેલાઈથી ઓળખી શકે તે માટે આ ચેતવણી વિશેષરૂપે ષટ્કોણ (Hexagon) આકારમાં છાપવામાં આવશે, જેમાં ‘હાઇ શુગર’, ‘હાઇ ફેટ’ અને ‘હાઇ સોલ્ટ’ લખેલું હશે.
લેબલિંગ અને ફોન્ટ સાઇઝમાં ખાસ ફેરફાર
આ ચેતવણી માત્ર નામ પૂરતી નહીં હોય પરંતુ ગ્રાહકોની નજર તરત તેના પર જાય તે માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. પેકેટની પાછળ આપેલા સામાન્ય ન્યુટ્રિશન ટેબલના ફોન્ટ સાઇઝ કરતા આ ચેતવણીના ફોન્ટ 1 પોઇન્ટ મોટા રાખવામાં આવશે, જેથી ખરીદી કરતી વખતે ગ્રાહક સાવચેત બની શકે.
આ પણ વાંચો: રાજકોટમાં 5 વર્ષથી ચાલતું નકલી તમાકુનું કારખાનું ઝડપાયું!
બે તબક્કામાં લાગુ થશે આ નિયમો
ખાદ્ય ઉત્પાદકો અને પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને તેમની પ્રોડક્ટ્સની ફોર્મ્યુલા બદલવા અને નવું પેકેજિંગ અપનાવવા માટે પૂરતો સમય મળી રહે તે માટે આ કાયદો બે તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે. પ્રથમ તબક્કામાં એવા ઉત્પાદનો લેવાશે જેમાં એકસાથે બે કે તેથી વધુ પોષક તત્વો (જેમ કે એડેડ શુગર અને ફેટ) વધુ હોય, જ્યારે બીજા તબક્કામાં માત્ર એક જ તત્વ વધુ હોય તેવી પ્રોડક્ટ્સને આવરી લેવામાં આવશે.
કુદરતી પદાર્થોને મળશે ખાસ મુક્તિ
આ નિયમોથી તમામ વસ્તુઓને આવરી લેવામાં નથી આવી. FSSAIએ સ્પષ્ટતા કરી છે કે સિંગલ-ઇંગ્રીડિયન્ટ ધરાવતા એટલે કે માત્ર એક જ વસ્તુથી બનતા અને કુદરતી રીતે જ ચરબી, ખાંડ કે મીઠું ધરાવતા પદાર્થોને આ લાલ ચેતવણીમાંથી મુક્તિ આપવામાં આવશે. આ શ્રેણીમાં શુદ્ધ ઘી, ખાદ્ય તેલ, ગોળ અને મધનો સમાવેશ થાય છે, જોકે તેમને અન્ય લેબલિંગ કાયદાઓમાંથી કોઈ મુક્તિ નહીં મળે.
આ નિર્ણય ચોક્કસપણે દેશના નાગરિકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. જ્યાં સુધી ગ્રાહકો પોતાની ખાણી-પીણીની આદતો પ્રત્યે સભાન નહીં બને ત્યાં સુધી સરકારના આ કાયદાઓ સંપૂર્ણ અસર નહીં કરી શકે, પરંતુ આ ક્રાંતિકારી ડગલું કંપનીઓને પણ હેલ્ધી ફૂડ પ્રોડક્ટ્સ બનાવવા માટે મજબૂર ચોક્કસ કરશે.
