ફેડરલ રિઝર્વના એક નિવેદનથી સોના-ચાંદી બજારમાં ભૂકંપ: સોનું 4000, ચાંદી 9000 સસ્તી થઈ!
રોકાણકારો માટે હંમેશા સુરક્ષિત ગણાતી કિંમતી ધાતુઓ સોના અને ચાંદીમાં અચાનક આવેલી ભારે ઉથલપાથલે બજારમાં હડકંપ મચાવી દીધો છે. વૈશ્વિક અર્થતંત્રમાં થઈ રહેલા મોટા ફેરફારો અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી આવેલા એક આશ્ચર્યજનક નિવેદનને કારણે કોમોડિટી માર્કેટમાં ધ્રુજારી વ્યાપી ગઈ છે, જેની સીધી અસર સ્થાનિક બજારો પર પણ જોવા મળી છે.
યુએસ ફેડરલ રિઝર્વના નિવેદનથી બજાર ધ્રૂજ્યું
શુક્રવારનો દિવસ સોના અને ચાંદીના રોકાણકારો માટે અત્યંત આઘાતજનક રહ્યો હતો. વોશિંગ્ટન અને અમેરિકી ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદર વધારવાના સંકેતો મળતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે દબાણ વધ્યું હતું. ફેડરલ રિઝર્વના વડા કેવિન વોર્શના નિવેદન મુજબ વ્યાજદરમાં અપેક્ષિત વધારાની શક્યતાઓએ બજારની ચાલ બદલી નાખી છે, જેના કારણે બુલિયન માર્કેટમાં અચાનક જ પ્રોફિટ બુકિંગ અને મોટી વેચવાલી શરૂ થઈ ગઈ હતી.
એમસીએક્સ પર વાયદા બજારની સ્થિતિ
શુક્રવારે શરૂઆતી કારોબારમાં ભારે કડાકો બોલાયા બાદ બજાર બંધ થતી વખતે થોડી રિકવરી જોવા મળી હતી, તેમ છતાં મોટા ઘટાડા નોંધાયા હતા:
સોનું: કારોબારના અંતે સોનું ૨,૫૯૬ રૂપિયા અથવા ૧.૬૩ ટકા ઘટીને ૧,૫૬,૪00 રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ રહ્યું હતું.
ચાંદી: ચાંદીના ભાવમાં ૪,૦00 રૂપિયા અથવા ૧.૬૬ ટકાનો ઘટાડો નોંધાયો અને તે ૨,૩૬,૬૫૧ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી.
આ પણ વાંચો: ગ્રાહકોના સ્વાસ્થ્યને લઈ કેન્દ્ર સરકારનો નિર્ણય: પેકેજિંગ નિયમોમાં FSSAI એ કર્યો બદલાવ
દિલ્હી બજારમાં ત્રણ દિવસમાં મોટો ઘટાડો
સ્થાનિક બજારો પર પણ આ વૈશ્વિક મંદીની સીધી અસર જોવા મળી છે. દિલ્હીના બજારમાં ગુરુવારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧,૬૫,૭00 રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો, જે શુક્રવારે ૩,૩00 રૂપિયા તૂટીને ૧,૬૨,૪00 રૂપિયા પર પહોંચી ગયો હતો. આમ, છેલ્લા ત્રણ દિવસમાં જ સોનામાં કુલ ૪,૭00 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ચાંદી અગાઉના સત્રના ભાવથી સીધી ૫,000 રૂપિયા સસ્તી થઈને ૨,૪૫,૫00 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે દબાણ
વૈશ્વિક બજારોમાં પણ કિંમતી ધાતુઓમાં મોટો કડાકો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૩.૪૩ ટકા તૂટીને ૪,૫૦૪.૧૦ ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું, જ્યારે ચાંદી ૪.૫૭ ટકાના ભારે ઘટાડા સાથે ૬૬.૨૫૫ ડૉલર પ્રતિ ઔંસના સ્તરે સરકી ગઈ હતી.
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ૨ ટકા સુધીનો સંભવિત વધારો થવાની ચર્ચાએ સોના અને ચાંદીના તેજીના રથને અસ્થાયી રૂપે રોકી દીધો છે. આ ઘટાડો ટૂંકા ગાળાના રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે, પરંતુ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ આગામી દિવસોમાં બજારની દિશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે.
