નેપાળમાં જળપ્રલયથી હાહાકાર, 600+ના મોત: 2500થી વધુ હજુ ગુમ!
કહેવાય છે કે જ્યારે કુદરત રુઠે છે ત્યારે માનવ સર્જિત તમામ તાકાતો વામણી સાબિત થાય છે. પડોશી દેશ નેપાળમાં અચાનક ત્રાટકેલી એક કુદરતી હોનારતે આખીય ભૂગોળ બદલી નાખી છે, જેના કારણે ચારેય તરફ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
નેપાળમાં ગ્લેશિયર ફાટતાં સર્જાયો જળપ્રલય
પ્રાથમિક તપાસ મુજબ, ઊંચા પર્વતીય વિસ્તારોમાં અચાનક ગ્લેશિયર ફાટવાની આ દુર્ઘટના સર્જાઈ હતી. બરફ અને પથ્થરોનો મોટો હિસ્સો લેંડે નદીમાં ખાબકતા મોટો અવરોધ પેદા થયો હતો અને તે અચાનક તૂટતાં ભોટેકોશી તથા ત્રિશૂલી નદીઓમાં વિનાશક પૂરની લહેર ફરી વળી હતી. આ જળપ્રલયમાં અત્યાર સુધીમાં ૬૨૬ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે આશરે ૨,૫૦૦થી વધુ લોકો હજુ ગુમ છે. પૂરના કારણે કૌશિકી અને ભોટેકોશી નદી કિનારાની અસંખ્ય વસાહતો, રસ્તાઓ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ જમીનદોસ્ત થઈ ગયા છે.
સંકટમાં સેંકડો ભારતીય નાગરિકો
આ વિનાશક પૂરની ઝપેટમાં મોટા પ્રમાણમાં ભારતીય નાગરિકો પણ આવ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયની અપડેટ અનુસાર, ૩૨૦ ભારતીયો અને ભારતીય મૂળના ૧૦૦ લોકો સાથે હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જેમાં ૧૦૦ જેટલા ભારતીયો ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પર અટવાયેલા હોવાની આશંકા છે. જોકે, રાહતની વાત એ છે કે તિબેટમાં રહેતા આશરે ૪૦૦ ભારતીયો સુરક્ષિત છે અને તેમની સાથે સંપર્ક થઈ ચૂક્યો છે.
કૃત્રિમ સરોવરને કારણે ફરી મોટા પૂરનો ભય
પહેલી તબાહી બાદ હવે નવી આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે. નદીના ઉપરી હિસ્સામાં જમા થયેલા કાટમાળના કારણે એક કૃત્રિમ સરોવર (ડેમ જેવી સ્થિતિ) સર્જાયું છે. સેટેલાઇટ તસવીરો મુજબ આ સરોવરમાં ૨૦ લાખ ક્યુબિક મીટર પાણી એકઠું થઈ ગયું છે. જો આ કુત્રિમ દીવાલ તૂટશે, તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર ગંભીર જળપ્રલય ત્રાટકી શકે છે.
૩૬થી વધુ બ્રિજ ધ્વસ્ત અને રાહત કાર્યો
પૂરના પ્રકોપથી ૩૬થી વધુ પુલો વહી જતાં ૯૦ હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે અને અનેક ગામડાઓનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. સ્થિતિને કાબૂમાં લેવા અને રસ્તાઓ પૂર્વવત્ કરવા માટે નેપાળે ભારત અને ચીન પાસે ૪૨ બેલી બ્રિજ બનાવવા માટે મદદ માંગી છે. હાલ નેપાળી સેનાના ૨,૩૦૦થી વધુ જવાનો સહિત ૭,૪૫૧ સુરક્ષાકર્મીઓ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા છે.
આ ભયાનક આપત્તિએ માત્ર નેપાળ જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્રને હચમચાવી દીધું છે. માનવજીવન અને સંપત્તિને થયેલું નુકસાન અપાર છે, ત્યારે આ મુશ્કેલ સમયમાં પડોશી દેશોની સહાય અને ઝડપી બચાવ કામગીરી જ પરિસ્થિતિને થાળે પાડવા માટે એકમાત્ર આશા છે.
