વાવાઝોડું આવશે કે નહીં? હવામાન વિભાગે આપ્યા સંકેત, ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસર ધીમે-ધીમે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું હોવાના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વાવઝોડાનો ખતરો જોતા હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું હતું. જો કે, હાલમાં આ સિસ્ટમે દિશા બદલી હોય હાલ પૂરતો વાવાઝોડાનો ખતરો ટળ્યો હોવાના સંકેત ખાનગી હવામાન એજન્સીએ આપ્યા હતા.
અરબી સમુદ્રમાં દક્ષિણ કોંકણ-ગોવા કિનારા પર સર્જાયેલ લો પ્રેસર શુક્રવારે રત્નાગિરી નજીક સ્થિર જોવા મળ્યું હતું.જો કે, આ લો પ્રેસર આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ વધુ તીવ્ર બનવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી હતી. દરમિયાન ગુરુવારે હવામાન વિભાગના બુલેટિનમાં આગામી સાત દિવસ એટલે કે, તા.28મી સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ અંગે ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપ્યું હતું પરંતુ હાલમાં લો પ્રેસર દિશા બદલી રહ્યું હોય આગામી બે દિવસ માટે જ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના એલર્ટ મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. સાથે જ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.