હાથરસ દુર્ઘટના અંગે શું નવો ફણગો ફૂટ્યો ? વાંચો
હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. ઘટનાના આરોપીઓ સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન બાબા નારાયણ સાકર હરિના વકીલ એપી સિંહે રવિવારે એવો સનસનીખેજ દાવો કર્યો છે જે ચોંકાવનારો છે. જેના કારણે સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે. એપી સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ ઘટના એક કાવતરું છે અને કેટલાક લોકોએ ભીડમાં ઝેરી સ્પ્રે છાંટ્યું, જેના કારણે તેઓ ભાગવા લાગ્યા અને નાસભાગ મચી ગઈ હતી.
ભોલે બાબાના વકીલ એપી સિંહે કહ્યું, સત્સંગ દરમિયાન સ્થળ પર હાજર કેટલાક લોકોએ મને કહ્યું કે અહીં એક અજાણી સ્કોર્પિયો દેખાઈ હતી. 15-16 લોકો આવ્યા હતા અને અહીં ઝેરી સ્પ્રે કે નશીલા સ્પ્રે છોડીને ભાગવા લાગ્યા હતા. તે પોતાના પેન્ટ અને ટુવાલમાં છૂપાવીને ઝેરી સ્પ્રે લાવ્યા હતા. લોકોને તેની ગંધ આવતા જ લોકો જમીન પર પડવા લાગ્યા. આ પછી નાસભાગ મચી ગઈ હતી. એક પછી એક લોકો જમીન પર પડવા લાગ્યા. ત્યારપછી સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. સત્સંગમાં જોડાયેલા સ્વયંસેવકો પણ તેને સંભાળી શક્યા નહીં.
લોકો બેભાન થઈ ગયા હતા
એપી સિંહે જણાવ્યું કે સત્સંગ દરમિયાન હાજર લોકોએ અમને આ માહિતી આપી છે. તે લોકો આગળ આવવા માંગતા નથી. તેઓ પોતાની ઓળખ છુપાવીને અમને બધુ કહી રહ્યા છે. તેમાંથી ઘણી મહિલાઓ પણ છે જે સ્પ્રેના કારણે બેભાન થઈ ગઈ હતી. પરંતુ સદનસીબે તેણીનો આબાદ બચાવ થયો હતો. હવે તે આખો મામલો જણાવી રહી છે. તેમના મતે તે માત્ર એક ષડયંત્ર હતું. આ માત્ર અકસ્માત નથી, હત્યાનો મામલો છે. આ નારાયણ સાકર હરિ વિરુદ્ધ ષડયંત્ર છે.