નીટ અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? એનટીએને કેવી ફટકાર લગાવી ? જુઓ
નીટ પરીક્ષા રદ કરીને ફરીથી કરાવવાની માંગણી કરતી થયેલી અરજી અંગે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ભારે સખત સવાલો કરીને એનટીએને ફટકાર લગાવી હતી અને કેન્દ્ર સરકાર અને એનટીએ બંનેને મંગળવારે નોટિસ આપીને જવાબ માંગ્યો હતો. આ મામલે બીજી પણ અરજીઓ થઈ છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે જો 0.001 ટકા પણ બેદરકારી થઈ છે તો તેનો સ્વીકાર કરો અને સ્ટુડન્ટમાં આત્મવિશ્વાસ જગાવવા માટે ઉચિત સમય પર ઉચિત કાર્યવાહી કરવામાં આવે. આ મામલો આ રીતે નિપટાવવાનો રહેશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે દેશની સૌથી અઘરી પ્રવેશ પરીક્ષાઓ પૈકીની એક આ પરીક્ષાની તૈયારી માટે મેડિકલ સ્ટુડન્ટ દ્વારા થયેલી મહેનતને ભુલાવી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે એનટીએને ફટકાર લગાવીને એવો સવાલ પણ કર્યો હતો કે જો નીટ પરીક્ષામાં ફ્રોડ કરનાર કોઈ ડૉક્ટર બની જશે તો શું થશે ? જો બેદરકારી કરવામાં આવી છે તો તેની તપાસ થવી જ જોઈએ, લાપરવાહી થઈ છે તો તે ચિંતાની બાબત છે.
એનટીએને કોર્ટે સખત નસીહત કરીને એમ પણ કહ્યું હતું કે પરીક્ષા કરાવનાર એક એજન્સી તરીકે તમારે એકદમ ક્લીન રહેવું પડશે. તમારાથી ભૂલ થઈ હોય અમે એક્શન લેશું. જેથી તમારા કામકાજમાં સુધારો થઈ શકશે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે મંગળવારે સખત ઠપકો આપીને એમ પણ કહ્યું હતું કે અમે આ બારામાં થયેલી અરજીઓ પર 8 મી જુલાઇના રોજ સુનાવણી કરશું.
શિક્ષણ મંત્રીનું મહત્વનું નિવેદન
દરમિયાનમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ આ પહેલા એમ કહ્યું હતું કે નીટ પરીક્ષા અંગે કેટલાક સ્થાનોથી વિસંગતિ સામે આવી છે પણ ગોટાળામાં જે કોઈ સામેલ હશે અને દોષિત ગણાશે તો પછી તેને છોડવામાં નહીં આવે.