‘સાપુતારા મેઘ મલ્હાર પર્વનો પ્રારંભ : ગુજરાત વર્લ્ડ ટુરિઝમ મેપ’ પર ચમકતું રહે તેવી નેમ
ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસની પથરાયેલી ચાદર વચ્ચે રીમઝીમ રીમઝીમ વરસતા વરસાદમાં, પ્રવાસન મંત્રી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને ‘મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’ નો પ્રારંભ કરાવ્યો હતો.

ગિરિમથક સાપુતારા ખાતે ‘મેઘ મલ્હાર પર્વ’ નો પ્રારંભ કરાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગત ઉનાળુ વેકેશનમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર બે મહિના દરમિયાન એક કરોડ પાંત્રીસ લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. જે ગત વર્ષની તુલનામાં ૧૭ ટકાથી વધુ છે. પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા રાજ્ય સરકાર ‘કૈલાશ માનસરોવર યાત્રા’, ‘સિંધુ દર્શન યાત્રા’ સહિત ‘શ્રવણ તીર્થ યાત્રા’ જેવી યોજનાઓમા પણ આર્થિક સહાય આપી રહી છે. ‘સાપુતારા-શબરી ધામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ કરવામાં આવ્યો છે.
અમારો ઉદ્દેશ્ય ‘अतिथि देवो भवः’ ની પરંપરાને અનુસરીને ગુજરાતના પ્રવાસે આવનારા તમામ યાત્રીઓને સુરક્ષિત, આરામદાયક અને અદ્દભુત પ્રવાસનનો અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરવાનો, તેમજ આવા પ્રવાસી કેન્દ્રિત દ્રષ્ટિકોણ દ્વારા ગુજરાતને એક સુરક્ષિત પર્યટન સ્થળ બનાવવાનો છે. તેમ કહેતા મંત્રીશ્રીએ, ગુજરાત સતત ‘વર્લ્ડ ટુરિઝમ મેપ’ પર ચમકતું અને ધબકતું રહે એ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં રાજ્ય આદિજાતિ, ગ્રામ વિકાસ, શ્રમ રોજગાર મંત્રી હળપતિએ, ડાંગ જિલ્લાના સર્વાંગીણ વિકાસ અને પ્રશ્નોના નિરાકરણ માટેની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.