વિદ્યાર્થીઓ સામે થયો હતો પેલેટ ગનનો ઉપયોગ: હોસ્પિટલના રિપોર્ટમાં ધડાકો
સફદરજંગ હોસ્પિટલની કેસશીટમાં પેલેટના ઘા અને ચામડીમાં ફસાયેલા ધાતુના કણોની નોંધ
જંતર-મંતરથી સંસદ ભવન સુધી યોજાયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનનો ઉપયોગ થયો હોવાના આરોપોને દિલ્હી પોલીસે નકારી કાઢ્યા હતા, પરંતુ હવે સરકારી સફદરજંગ હોસ્પિટલના તબીબી રિપોર્ટથી આ દાવા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હોસ્પિટલની કેસશીટમાં 28 વર્ષીય એક ઘાયલ યુવકના જમણા કોણી અને પીઠ પર પેલેટથી થયેલી ઇજાની સ્પષ્ટ નોંધ કરવામાં આવી છે. રિપોર્ટમાં ઇજાગ્રસ્તના ઘાની આસપાસની ચામડી કાળી પડી ગઈ હોવાનું, ચામડીમાં પેલેટના ધાતુના કણો ચોંટી ગયા હોવાનું તથા ઘા પડેલા સ્થળે ભારે દુખાવો હોવાનું પણ નોંધાયું છે.
નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP) અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા 20 જુલાઈએ સંસદ તરફ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) દ્વારા વિરોધીઓને રોકવા માટે બળપ્રયોગ કરાયો હોવાના આરોપો લાગ્યા હતા. જોકે દિલ્હી પોલીસે તે સમયે પેલેટ ગનના ઉપયોગને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો હતો.
પરંતુ હોસ્પિટલનો તબીબી રેકોર્ડ હવે અલગ જ ચિત્ર રજૂ કરે છે. ઘાયલ યુવકને 20 જુલાઈના રોજ સાંજે લગભગ ચાર વાગ્યે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઘટનાસ્થળે તહેનાત રહેલી RAF પાસે પેલેટ ગન અને શોક બેટન જેવા હુલ્લડ નિયંત્રણ સાધનો ઉપલબ્ધ હોવાનું જાણીતું છે, જોકે સીઆરપીએફે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી.
CJPએ આરોપ લગાવ્યો છે કે પોલીસએ વિદ્યાર્થીઓના માથાને નિશાન બનાવી નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો, અનેક વિદ્યાર્થીઓના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને કેટલાક લોકોની દ્રષ્ટિ પણ પેલેટ વાગવાથી પ્રભાવિત થઈ છે. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)એ પણ આરોપ મૂક્યો છે કે પોલીસે ભીડ પર ટીયર ગેસ છોડ્યો, પેલેટ ગનનો ઉપયોગ કર્યો અને ઘાયલોને મદદ કરવા પહોંચેલા આરોગ્યકર્મીઓને પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ પાસેથી જવાબ પણ માંગ્યો છે.
આ એકમાત્ર કેસ નથી…
જંતર-મંતરના વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટથી ઘાયલ થયાનો આ એકમાત્ર બનાવ નથી. નજફગઢના કિશોર સાહિલ લોચબને જમણી આંખમાં પેલેટ વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેના ચહેરા, ગરદન, છાતી, ખભા અને હાથમાં પણ અનેક પેલેટ ઘૂસી ગયા હતા. જમણી આંખની કોર્નિયા ફાટી જતાં તેની સર્જરી કરવી પડી હતી, જ્યારે એક પેલેટ ફેફસાં અને હૃદયની આસપાસના ટિશ્યૂ સુધી પહોંચી ગયો હોવાનું સારવાર દરમિયાન બહાર આવ્યું હતું. એ જ રીતે ગુરુગ્રામના 25 વર્ષીય શેખ મન્સૂરીના ચહેરા પર સાત પેલેટ વાગ્યા હતા. નાક, કપાળ, બંને આંખો અને ગાલમાં ગંભીર ઇજાઓ થતાં તેની પણ સર્જરી કરવી પડી હતી અને હજુ વધુ સારવારની જરૂર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
અગાઉ ક્યારે થયો હતો પેલેટ ગનનો ઉપયોગ?
ભારતમાં પેલેટ ગનનો સૌથી વધુ ચર્ચિત ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં થયો હતો. વર્ષ 2010માં હિંસક પ્રદર્શનને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ પ્રથમ વખત તેનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ જુલાઈ 2016માં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ ભડકેલી હિંસા દરમિયાન ફરી પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે હજારો લોકો ઘાયલ થયા હતા અને અનેક લોકોએ આંખોની રોશની ગુમાવી હતી. ત્યારથી પેલેટ ગનના ઉપયોગને લઈને સતત માનવાધિકાર અને સુરક્ષા વચ્ચેની ચર્ચા ચાલતી રહી છે.
શું છે પેલેટ ગન?
પેલેટ ગન એવી વિશેષ હથિયાર પ્રણાલી છે જેમાં એક કાર્ટ્રિજમાંથી ધાતુ અથવા રબરના સેંકડો નાના કણો (પેલેટ) એકસાથે ખૂબ જ ઝડપે બહાર નીકળે છે. એક કાર્ટ્રિજમાં અંદાજે 600 જેટલા પેલેટ હોઈ શકે છે અને તે લગભગ પ્રતિ સેકન્ડ 1,000 ફૂટની ઝડપે ફેલાય છે. ભીડને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ પેલેટ ગન ઓછામાં ઓછા 500 ફૂટના અંતરેથી ચલાવવી જોઈએ અને નિશાન કમરની નીચે રાખવાનું હોય છે, જેથી જીવલેણ ઇજાનો ભય ઓછો રહે. તેમ છતાં નજીકથી અથવા અયોગ્ય રીતે ઉપયોગ થાય તો આંખ, ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર અને કાયમી ઇજાઓ થઈ શકે છે.
