સુપ્રીમ કોર્ટના 51મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લેતા સંજીવ ખન્ના
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ એમના શપથ લેવડાવ્યા : છ મહિના સુધી પદ પર રહેશે
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ નિવૃત થતાં સંજીવ ખન્ના દેશના 51મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે એમને પદના શપથ લેવડાવ્યા હતા. સંજીવ ખન્ના આગામી છ મહિના સુધી એટલે કે 13 મે 2025 સુધી ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત રહેશે.તેઓ ચૂંટણી બોન્ડ યોજનાને સમાપ્ત કરવા અને કલમ 370 નાબૂદ કરવા જેવા ઘણા ઐતિહાસિક નિર્ણયોનો હિસ્સો રહ્યા છે.
જસ્ટિસ સંજીવ ખન્ના દિલ્હીના રહેવાસી છે. તેમનો જન્મ 14 મે 1960ના રોજ દિલ્હી ખાતે થયો હતો. તેમના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના દિલ્હી હાઇકોર્ટમાં પૂર્વ જસ્ટિસ હતા. તેમણે 1980માં દિલ્હી યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને ત્યાર બાદ ડીયૂ કેમ્પસ લો સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.
સંજીવ ખન્નાએ કાયદાનો અભ્યાસ કર્યા બાદ 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે જોડાયા હતા. તેમણે દિલ્હીના તીસ હજારી કોર્ટમાં વકીલાતની શરુઆત કરી હતી અને બાદમાં તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરુ કરી હતી. જસ્ટિસ ખન્ના એવા ખાસ જસ્ટિસ પૈકીના છે કેમ જેઓ કોઇ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બન્યા પહેલા જ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બન્યા છે.