રાહુલે ભાજપના સભ્યોને કહ્યું,” તમે હિન્દુ છો જ નહીં”
લોકસભામાં હોબાળો,ધાંધલ ધમાલ
ભાજપ ચારે દિશામાં ભય ફેલાવતો હોવાનો આક્ષેપ
લોકસભામાં રાષ્ટ્રપતિ ના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા સમયે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ હિંદુ ધર્મની મૂળ ધારણાઓથી વિપરીત હિંસા અને નફરતને ઉત્તેજન આપી આખા સમાજને ડરાવવાનું કામ કરતો હોવાનો આક્ષેપ કરી ભાજપના સાંસદો હિન્દુ જ નહીં હોવાનું જણાવતા ભારે વિવાદ થયો હતો.
રાહુલ ગાંધીએ શિવજી, ઈસુ,ગુરુ નાનક, ભગવાન બુદ્ધ મહાવીર,પયગમ્બર વગેરેનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ બધા મહાપુરુષોએ સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાનો સંદેશો આપ્યો હતો. રાહુલે આ મહાપુરુષોની તસવીરો દેખાડી અને કહ્યું કે એ બધાએ ‘ ડરો નહીં ડરાવો નહીં ‘ ની આપી હતી. તેમણે કહ્યું કે હિન્દુ કદી અહિંસા ન કરે, ડર ન ફેલાવે પણ જે લોકો પોતાને હિન્દુ ગણાવે છે એ લોકો તો હિંસા ફેલાવવાનું, ડર ફેલાવવાનું અને નફરત ફેલાવવાનું જ કામ કરે છે. ત્યાર બાદ ભાજપના સાંસદોને સંબોધીને તેમણે કહ્યું કે “તમે હિન્દુ છો જ નહીં”.
રાહુલ ગાંધીના આ નિવેદનને પગલે સંસદ ગૃહ સમરાંગણમાં પલટાઈ ગયું હતું. ખુદ અધ્યક્ષે રાહુલ ગાંધીને કોઈ ધર્મના અનુયાયીઓને હિંસક ન ગણાવવા વિનંતી કરી હતી. તેમણે બંધારણીય જોગવાઈનો ઉલ્લેખ કરી સંસદમાં તસવીરો દેખાડવાનું માન્ય ન હોવાનું જણાવ્યું હતું પણ રાહુલ ગાંધી સતત શિવજીની તસ્વીર દેખાડીને ભાજપના સભ્યો સામે પ્રહારો કરતા રહ્યા હતા. તેમણે અગ્નિવીર યોજના, મણીપુરની હિંસા, કિસાન આંદોલન, પેપર લીક વગેરેનો ઉલ્લેખ કરી સરકાર કઈ રીતે બધાને ડરાવવાનું કામ કરે છે તેનું વર્ણન કરવાનું ચાલુ રાખ્યું હતું.
રાહુલે હિન્દુઓને હિંસક કહ્યા:મોદી – શાહ
રાહુલના નિવેદન બાદ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ ચર્ચાએ ઉભા થઈને રાહુલ ગાંધીએ આખા હિન્દુ સમાજને હિંસક ગણાવ્યો હોવાની ટિપ્પણી કરી ખેદ વ્યક્ત કર્યો હતો. મોદીના એ નિવેદન બાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી કે મેં આખા હિન્દુ સમાજને નહીં પણ ભાજપના સાંસદોને સંબોધીને આ વાત કરી હતી. ગૃહ મંત્રી અમિત શાહે પણ રાહુલની ઝાટકણી કાઢતા કહ્યું કે જે લોકોએ ઈમરજન્સીમાં આખા દેશને ડરાવ્યો હતો અને દિલ્હીમાં હજારો લોકોની કત્લે આમ કરી શીખોને ડરાવ્યા હતા તેમને ‘ડરો અને ડરાવો નહીં ‘ ની વાત કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું કે દેશના કરોડા લોકો પોતાને ગર્વથી હિંદુ ગણાવે છે અને રાહુલ ગાંધીએ એ બધાને હિંસક ગણાવ્યા છે. તેમણે ઉમેર્યું કે હિંસા ની ભાવનાને કોઈ ધર્મ સાથે જોડવા બદલ રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ.