યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! હવે તમને ટ્રેનમાં પણ મળશે ATMની સુવિધા, પાયલટ પ્રોજેક્ટ શરૂ
દેશમાં પહેલાની તુલનાએ હવે ટ્રેનમાં આરામદાયક ખુરશીઓથી લઈને મોબાઈલ ફોન ચાર્જિંગ અને લેમ્પ જેવી કેટલીયે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, રેલવેના વિકાસની આ પ્રક્રિયા હજુ અટકી નથી. હાલમાં મળતી એક માહિતી પ્રમાણે રેલવે દ્વારા ટ્રેનોમાં એટીએમ એટલે કે ઓટોમેટેડ ટેલર મશીનનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, આ ક્યારે અને વ્યાપક સ્તરે ક્યારે લાગુ કરવામાં આવશે.
સેન્ટ્રલ રેલ્વેએ મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસમાં પ્રાયોગિક ધોરણે એટીએમ લગાવ્યું છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘આ એટીએમ એક ખાનગી બેંક દ્વારા આપવામાં આવ્યું છે અને તે આ દૈનિક એક્સપ્રેસ સેવાના એર-કન્ડિશન્ડ ચેર કાર કોચમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે હવે ટૂંક સમયમાં મુસાફરો માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ જશે.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, ‘પંચવટી એક્સપ્રેસમાં પ્રાયોગિક ધોરણે એટીએમ લગાવવામાં આવ્યું છે. આ એટીએમ કોચના પાછળના ભાગમાં એક ક્યુબિકલમાં લગાવવામાં આવ્યું છે, જ્યાં પહેલા એક કામચલાઉ પેન્ટ્રી હતી. ટ્રેન ચાલુ હોય ત્યારે સુરક્ષા અને પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે એક શટરવાળો દરવાજો પણ લગાવવામાં આવ્યો છે.
આ એક પાયલટ પ્રોજેક્ટ છે અને તેમાં ધારી સફળતા મળ્યા બાદ તમામ ટ્રેનોમાં આ સુવિધા આપવાનું આયોજન છે અને મુસાફર જનતાને વધુ એક ઉપયોગી સેવા પૂરી પાડવા માટે રેલવે અને સરકાર પ્રયત્નશીલ છે .