ઓપરેશન સિંદુર હજુ…પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઈકમાં 100 આતંકીને ઠાર માર્યા, વિપક્ષે કર્યા સેનાના વખાણ
22 એપ્રિલે પહગામમાં પાકિસ્તાનના આતંકીઓ દ્વારા નાપાક હરકત કરીને 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી જેનો ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર મારફતે જડબાતોડ જવાબ આપ્યો હતો. વાયુસેનાની 25 મિનિટની સ્ટ્રાઈકે 9 આતંકી ઠેકાણાનો નાશ કર્યો હતો. પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરીને, ભારતે પાકિસ્તાનને કહી દીધું છે કે તેની નાપાક પ્રવૃત્તિઓનો જવાબ પહેલા કરતા વધુ તાકાતથી આપવામાં આવશે. હુમલાના એક દિવસ પછી સર્વપક્ષીય બેઠકમાં, સંરક્ષણ પ્રધાને કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ રહેશે.
ઓપરેશન સિંદુર સફળ થયા બાદ સમગ્ર દેશવાસીઓના હૈયે ટાઢક થઈ છે. ત્યારે આજે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં તમામ નેતા હજાર રહ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી અને તેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સપાના રામ ગોપાલ યાદવ સહિત તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.
ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ બેઠકમાં પહેલીવાર સરકારે હવાઈ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા આપી છે. વિપક્ષી નેતા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમણે બેઠકમાં કહ્યું કે અમે આ મામલાને આગળ વધારવા માંગતા નથી, પરંતુ જો પાકિસ્તાન કંઈક કરશે તો અમે પણ પાછળ હટીશું નહીં.
ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે
સિંદુર કા બદલા સિંદુર સે…ઓપરેશન સિંદુરથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી જેમાં અનેક મહિલાઓ વિધવા બની હતી ત્યારે આ ઓપરેશનથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ બેઠક બાદ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે અને દેશભરના રાજકીય પક્ષોએ આ ઓપરેશનની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર સમગ્ર વિપક્ષ સરકારની સાથે ઉભો છે અને તમામ પક્ષોએ તેના પર ગંભીરતાથી ચર્ચા કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તમામ નેતાઓને ઓપરેશન વિશે માહિતી આપી.
રિજિજુએ કહ્યું કે બેઠકમાં તમામ રાજકીય પક્ષોએ આ મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા કરી અને સર્વાનુમતે કહ્યું કે આ મુદ્દા પર રાજકારણ માટે કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર એક ચાલુ ઓપરેશન છે, તેથી ઘટના હજુ પણ ચાલુ હોવાથી તેના વિશે વધુ માહિતી આપી શકાતી નથી. ગઈકાલે સેના દ્વારા કરવામાં આવેલી પ્રેસ બ્રીફિંગમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
બેઠકમાં બધા પક્ષોએ સેનાની પ્રશંસા કરી
આ સર્વપક્ષીય બેઠક પૂર્ણ થયા બાદ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘અમારૂં સરકારને સંપૂર્ણ સમર્થન છે. આ મુદ્દે તમામ પક્ષોએ સરકારને સમર્થન આપ્યું છે. આ બેઠકમાં થયેલી અમુક ગુપ્ત વાત જાહેર કરી શકાય નહીં.’
આ બેઠક બાદ AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં બધાએ આપણી સેનાની પ્રશંસા કરી. તેમણે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું. મેં મીટિંગમાં કહ્યું હતું કે આપણે TRF વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ઝુંબેશ ચલાવવી જોઈએ, ખાસ કરીને યુએન સુરક્ષા પરિષદમાં તેની જાહેરાત કરવી જોઈએ.