પાક.ની નાપાક હરકત : ભુજ સહિત ભારતના 15 શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ, સરહદી વિસ્તારમાં હાઈએલર્ટ
પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે ઓપરેશન સિંદુર મારફતે પાકિસ્તાનમાં આવેક 9 આતંકી ઠેકાણાને તબાહ કરી નાખ્યા હતા. આતંકવાદીઓ પર ભારતના મિસાઇલ હુમલાથી હતાશ પાકિસ્તાન સતત ભારતને નુકસાન પહોંચાડવાના રસ્તાઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે પાકિસ્તાને પોતાની હોશિયારી બતાવતા 7/8 મેની રાત્રે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અવંતિપોરાથી ભુજ સુધીના ભારતીય સેનાના લશ્કરી ઠેકાણાઓ પર અનેક ડ્રોન અને મિસાઇલો છોડ્યા. જોકે, ભારતીય સશસ્ત્ર દળોએ તેમની એન્ટિ-યુએવી (ડ્રોન) સિસ્ટમની મદદથી આ બધા પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા હતા.
ભારતના 15 શહેરોમાં હુમલાનો પાક.નો પ્રયાસ નિષ્ફળ ગયો છે. જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો છે. ગઈકાલે રાત્રે પાકિસ્તાને પઠાણકોટ સહિત 15 લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 એ હવામાં પાકિસ્તાની મિસાઇલોને નિષ્ક્રિય કરી દીધી. આ પછી, ભારતે જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાનના લાહોરમાં ડ્રોન દ્વારા હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો હતો.
પાકિસ્તાની મિસાઇલોને નિષ્ક્રિય કરી દીધી
7 મે 2025ના રોજ ઓપરેશન સિંદૂર પર એક પ્રેસ બ્રીફિંગમાં, ભારતે તેની કાર્યવાહીને કેન્દ્રિત, સંતુલિત અને બિન-ઉશ્કેરણીજનક ગણાવી. એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા. એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે. આ છતાં, પાકિસ્તાન હાર માન્યું નહીં અને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
પાકિસ્તાને આ સ્થળો પર હુમલો કર્યો
7-8 મેની રાત્રે, પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં લશ્કરી થાણાઓ પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. હુમલાનો કાટમાળ ઘણી જગ્યાએથી મળી આવ્યો હતો, જે પાકિસ્તાની હુમલાનો પુરાવો છે.
પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ્સનો નાશ
ગુરુવારે, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. ભારતે આ જ વિસ્તારોમાં પાકિસ્તાનને તીવ્રતાથી જવાબ આપ્યો છે. પાકિસ્તાનના લાહોરમાં ભારતની કાર્યવાહીમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાને કચ્છમાં ભુજ ઉપર પણ હુમલાનો કર્યો હતો પ્રયાસ
પાકિસ્તાને કચ્છમાં ભુજ ઉપર પણ હુમલાનો કર્યો હતો પ્રયાસ કર્યો હતો. કચ્છના ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયો છે. એક શંકાસ્પદ ડ્રોન હાઇ ટેન્શન પાવર લાઇન સાથે અથડાતાં વિસ્ફોટ થયો છે. આ ઘટના ખાવડા સરહદી વિસ્તારમાં ધ્રોબાણા ગામ પાસે સવારે 6 વાગ્યે બની હતી. પોલીસ અને વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ આ ઘટના બાદ સતર્ક થઈ છે.