બિહારમાં એક પરિવારમાં કેવી બની કરૂણ ઘટના ? શું થયું ?
બિહારના આરાથી બુધવારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં અરવિંદ કુમાર નામના એક પિતાએ પોતાના 4 બાળકોના દૂધમાં ઝેર ભેળવીને બાદમાં પોતે પણ ઝેર પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઝેરની અસરથી ચારમાંથી ત્રણ બાળકો મૃત્યુ પામ્યા હતા અને પિતા તેમજ અન્ય એક બાળકની સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં પુત્ર આદર્શે જણાવ્યું કે, મારી માતાનું લાંબી બીમારીના કારણે મોત નિપજ્યું હતું. ત્યારથી મારા પિતા અંદરથી તૂટી ગયા હતા. તે બજારમાં એક નાનકડી ઇલેક્ટ્રોનિકની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મંગળવારે તેમણે અમને બધાને અમારી મનપસંદ પુરી ખવડાવી અને બાદમાં બધાને એક-એક ગ્લાસ દૂધ આપ્યું અને પોતે પણ પી લીધું.
થોડીવારમાં બધાને ઉલટી થવા લાગી અને પેટમાં જોરથી દુખાવો થવા લાગ્યો. બધાં ઘરે તડફડતા હતાં પરંતુ, ત્યારે કોઈ બચાવવા આવી શકે તેવું નહતું, થોડીવાર બાદ દરવાજો ખુલ્યો. બાદમાં કોઈ અમને હોસ્પિટલ લઈ આવ્યું.’ સારવાર દરમિયાન બે પુત્રી અને એક પુત્રનું મોત થઈ જતાં વિસ્તારમાં શોક ફેલાયો હતો.
અરવિંદની પત્નીના મોત બાદ તે એકલો દુકાન ચલાવતો હતો અને બાળકોને પણ ભણાવતો હતો. પરંતુ, પત્નીના ગયા બાદ બાળકોની સંભાળ રાખવામાં ઘણી મુશ્કેલી થતી હતી. જેથી, તેણે આવું પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.