રજીસ્ટ્રેશન વગર ચારધામ યાત્રા નહીં થઈ શકે : ચેકપોસ્ટ ઉપર જ રોકી લેવાશે
ઉત્તરાખંડ સરકારની એડવાઈઝરી બાદ ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા ચારધામ યાત્રાળુ માટે સૂચના
રાજકોટ : ચારધામ યાત્રા દરમિયાન ભૂસ્ખલન તેમજ અન્ય દુર્ઘટનાઓને ધ્યાને લઈ ઉત્તરાખંડ સરકાર દ્વારા ચારધામ યાત્રા 2024 માટે રજિસ્ટ્રશન ફરજીયાત બનાવતા ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા ચારધામ યાત્રાએ જતા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર કરી શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા ઉત્તરાખંડ સરકારના આદેશને અનુસરવા અનુરોધ કર્યો છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા એડવાઈઝરી જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે, જે યાત્રાળુઓએ ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેઓને ચારધામની મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ રજિસ્ટ્રશન નહીં કરનાર યાત્રાળુઓને ચેક પોસ્ટ પર રોકવામાં આવશે અને નિયત નોંધણી વગર આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
વધુમાં જે યાત્રાળુઓએ જે તે ચોક્ક્સ તારીખ માત્ર નોંધણી કરવી છે તેનું પાલન કરવુ પણ ફરજીયાત છે જેથી મુલાકાતીઓના પ્રવાહનું સંચાલન કરવામાં અને ચારધામોમાં વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે. બધા માટે સરળ અનુભવ સુનિશ્ચિત કરાશે સાથે જ તમામ ટુર ઑપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટોએ ખાતરી કરવી કે તેમના કલાઇન્ટ્સે યાત્રા શરૂ કરતાં પહેલાં જરૂરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેથી યાત્રા દરમ્યાન કોઈપણ પ્રકારની અસુવિધા અથવા વિક્ષેપ ન પડે અને આવા યાત્રાળુઓની યાત્રા અટકે તો જવાબદારી ટુર ઓપરેટર કે એજન્ટની રહેશે તેવું પણ એડવાઈઝરીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.