બિહારમાં 12 કરોડનો પુલ ઉદ્ઘાટન પહેલાજ તૂટી પડ્યો
અરરિયામાં બની ઘટના; ભ્રષ્ટાચારનો આરોપ લોકો પણ મૂકી રહ્યા છે
બિહારમાં મંગળવારે ફરી એકવાર પુલ દુર્ઘટના સામે આવી હતી. ઉદ્ઘાટન પહેલા જ પુલ તૂટીને નદીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના અરરિયા જિલ્લાના સિક્તી બ્લોકમાં બની હતી. અહીં બાકરા નદીના પાદરિયા ઘાટ પર 12 કરોડના ખર્ચે બનેલો પુલ અચાનક નદીમાં ડૂબી ગયો હતો. આ અકસ્માત મંગળવારે બપોરે લગભગ 2.05 કલાકે થયો હતો. પુલનું કામ પણ હજુ ચાલુ છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ
થઈ નથી.
182 મીટરનો આ પુલ ત્રણ ભાગમાં બનાવવામાં આવ્યો હતો. બે પાયા સાથે બે ભાગ નદીમાં પડ્યા હતા. અહીં આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ પહેલાના બ્રિજના એપ્રોચને કાપ્યા બાદ બનાવવામાં આવ્યો હતો. લોકોનો આરોપ છે કે બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેથી ઉદ્ઘાટન પહેલા પુલ તૂટી પડ્યો હતો.
લોકોનું કહેવું છે કે તાજેતરમાં વિભાગ દ્વારા પુલના એપ્રોચ રોડને પુનઃસ્થાપિત કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. પરંતુ, તે પહેલા આ અકસ્માત થયો હતો. અરરિયાના સાંસદ અને ધારાસભ્યએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી.
182 મીટર લાંબા પુલનું નિર્માણ 2021માં શરૂ થયું હતું
અરરિયાના સિક્તિ બ્લોકમાં ઉદ્ઘાટન પહેલા જ પુલ તૂટી પડ્યો હતો. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક નિર્માણ યોજના હેઠળ બનેલા આ પુલની કિંમત 7.79 કરોડ રૂપિયા હતી. 182 મીટર લાંબા આ પુલનું નિર્માણ 2021માં શરૂ થયું હતું. શરૂઆતમાં તેનો ખર્ચ 7 કરોડ 80 લાખ રૂપિયા હતો, પરંતુ બાદમાં નદીનો માર્ગ અને એપ્રોચ રોડ બદલવાને કારણે કુલ ખર્ચ 12 કરોડ રૂપિયા થઈ ગયો. તે જૂન 2023 માં પૂર્ણ થયું હતું. બ્રિજની બંને તરફ જવાના રસ્તાઓ ન હોવાને કારણે તેના પર વાહન વ્યવહાર ન હતો.