રાજકોટ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો: સોની બજારમાંથી પકડાયેલા ત્રણેય આતંકીઓને આજીવન કેદની સજા
રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા આજે મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. 2023માં સોની બજારમાંથી પકડાયેલા ત્રણેય આતંકવાદીઓને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારવામાં આવી છે. હંમેશા લોકોની અવર-જવરથી ધમધમતી રહેતી સોની બજારમાં અમદાવાદ ATSએ દરોડો પાડી દેશ વિરોધી પ્રવૃતિ કરતા અમન સિરાજ મલિક, અબ્દુલ શુકરઅલી શેખ, શાહનવાઝ એબૂ શાહીદને વર્ષ 2023માં ઝડપી લીધા હતા ત્યારે આજે આ ત્રણેય આતંકીઓને રાજકોટ સેશન્સ કોર્ટે સજા ફટકારી છે.
શું છે સમગ્ર ઘટના?
હંમેશા લોકોની અવર-જવરથી ધમધમતી રહેતી સોની બજારમાં એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ગત 26 જુલાઈ 2023ના રોજ ATS (એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ)એ ખૂંખાર આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા અને તેના માટે કંઈક પણ કરી છૂટવાની તૈયારીમાં રહેલા ત્રણ આતંકીઓને પકડી પાડતાં મોટો ખળભળાટ મચી જવા પામ્યો હતો. રાજકોટ ખાતે સોની બજારમાં નોકરી કરતા અને અલકાયદાનો પ્રચાર કરતા ત્રણ આતંકીઓને ઝડપી લીધા હતા. જેની સામેનો ગુનો પુરવાર થતા ત્રણેય આતંકીઓને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખ્ત કેદની સજા અને રૂ.10,000નો દંડ ફટકાર્યો છે.
આતંકીઓના ફોનમાંથી રાહે-એ-હિદાયત ગ્રુપની દેશવિરોધી પ્રવૃત્તિની વિગતો મળી હતી ત્યારે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં વ્હોટસએપ ચેટિંગના વાર્તાલાપથી સાબિત થાય છે કે તેઓ મુસ્લિમ સમાજના ચોક્કસ વર્ગને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરી રહ્યા છે. ત્યારે ગુનો પુરવાર થતા ત્રણેય આતંકીઓને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખ્ત કેદની સજા ફટકારી છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતને હચમચાવી નાખે તેવી ઘટના
આજથી 2 વર્ષ પહેલા એટલે કે 26 જુલાઈ 2023ના રોજ રાજકોટ જ નહીં બલ્કે આખા સૌરાષ્ટ્ર-ગુજરાતને હચમચાવી નાખતાં ગુજરાત ATS સોની બજારમાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી ત્યારે આજે રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. ત્રણેય આતંકીને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે. ATSએ ધરપકડ કર્યા બાદ પકડાયેલા આતંકીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તમામના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. દરમિયાન એવો ખુલાસો થયો છે કે તેઓ વીડિયો મારફતે એકે-47 રાયફલ ચલાવવાનું શીખી રહ્યા હતા
આ પણ વાંચો :રાજકોટના પૂર્વ કલેકટર સહિત 4 IASને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ : ધોળકા અને આસપાસના ગામોમાં ફેલાયેલા પ્રદુષણ મામલે આકરી કાર્યવાહી
આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા
દરમિયાન ગુજરાત એટીએસના એસપી ઓમપ્રકાશ જાટે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે, એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયે બાતમીના આધારે સોની બજારમાંથી અમન સીરાજ, શુકર અલી ઉર્ફે અબ્દુલ્લા અને શેફ નવાઝ નામના ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. આ ત્રણેય શખ્સો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા છે અને રાજકોટમાં સંગઠનની તંજીમનો પ્રચાર કરી રહ્યા હતા.
આ પણ વાંચો :તહેવારોની સિઝનમાં લોનધારકોને કોઈ રાહત નહીં : RBIએ રેપો રેટ 5.50% પર રાખ્યો યથાવત્, GDP વૃદ્ધિનો અંદાજ
સાથે સાથે રાજકોટમાં રહેતાં બંગાળના અન્ય યુવાનોને પણ સંગઠન (તંજીમ) સાથે જોડાવવા પ્રેરિત કરી રહ્યા છે. આ ત્રણેય હથિયારો ખરીદ કરવાની ફિરાકમાં પણ હતા. આ પ્રકારની બાતમી મળતા જ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, એસ.એલ.ચૌધરીના નેતૃત્વમાં પીઆઈ એચ.વી.સિસારા, એ.એસ.ચાવડા, બી.એચ.કોરાટ, કે.જે.રાઠોડ, જે.એમ.પયેલ અને પીએસઆઈ બી.ડી.વાઘેલા, વી.આર.જાડેજા, વાય.જી.ગુર્જર, એ.આર.ચૌધરી, એચ.ડી.વાઢેર, ડી.એસ.ચૌધરી, આર.સી.વઢવાણા અને પી.આર.વસાવાની બે ટીમ રાજકોટ દોડી આવી હતી અને ત્રણ દિવસ સુધી આ ત્રણેયની હલચલ પર બાજનજર રાખી હતી.
દરમિયાન 31 જૂલાઈએ અબ્દુલ શુકરઅલી (રહે.ગાર્ડન ચોક રાજકોટ-મુળ પશ્ર્ચિમ બંગાળ), અમન મલિક સિરાજ મલિક (રહે.સોનીબજાર, હસનભાઈ સોનીની દુકાનમાં-મુળ પશ્ચિમ બંગાળ) અને શૈફ નવાઝ અબુ શાહિદ (રહે.સોનીબજાર, શાહબુદ્દીનની દુકાનમાં-મુળ પશ્ચિમ બંગાળ)ની અટકાયત કરી લેવામાં આવી હતી. આ ત્રણેયની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે અમન અંદાજે એકાદ વર્ષથી ટેલિગ્રામ એપ્લીકેશનના માધ્યમથી તેના વિદેશી હેન્ડલર અબુ તલ્હા અને ફુરસાન નામની ઓળખ ધારણ કરનાર વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવ્યો હતો અને આ વ્યક્તિઓના પ્રેરિત કરવાથી અલ-કાયદા તંજીમમાં જોડાયો હતો.
ત્યારબાદ આ લોકો પાસેથી કનવરસેશન એપ્લીકેશનના માધ્યમથી ઉશ્કેરણીજનક સાહિત્ય અને વીડિયો મેળવતો હતો તેમજ ઓનલાઈન માધ્યમ દ્વારા ઓટોમેટિક હથિયાર કેવી રીતે ચલાવવું તેની તાલીમ મેળવતો હતો. આ પછી અમન ટેલીગ્રામ અને કનવેરસેશન એપ્લીકેશનના માધ્યમથી મુઝમ્મીલ નામની ઓળખ ધારણ કરનાર વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યો હતો જે વ્યક્તિ અમનને જેહાદ તેમજ હિજરત માટે પ્રેરિત કરતો હતો અને તેના થકી કોઈ મોટા કામને અંજામ આપવા માટે કન્ટ્રી મેડ સેમી ઓટોમેટિક હથિયાર ખરીદ્યુંહતું. તેમજ ફોનમાંથી રાહે-એ-હિદાયત ગ્રુપની દેશવિરોધી પ્રવૃત્તિની વિગતો મળી હતી,
અમને પોતાની સાથે પરિચિત એવા સુકુર અલી અને સૈફ નવાઝ જે કટ્ટરપંથી માનસિકતા ધરાવતા હોય તેમને અલ-કાયદા તંજીમમાં જોડી દીધા હતા. આ ત્રણેય આરોપીઓ પોતાના પરિચીત અન્ય બંગાળી કારીગરોને પણ તંજીમ (અલકાયદા સંગઠન) સાથે જોડાવવા માટે પ્રેરિત કરી રહ્યા હતા.
અત્યારે આ ત્રણેય પાસેથી એક ભારતીય બનાવટની સેમી ઓટોમેટિક પીસ્તલ અને દસ જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ ઉપરાંત પાંચ મોબાઈલ ફોન મળ્યા છે જેમાં અલગ-અલગ સોશ્યલ મીડિયા મેસેજિંગ એપના માધ્યમથી મેળવેલ ઉશ્કેરણીજનક સાહિત્ય, વીડિયો, ફોટોગ્રાફ, ચેટ તેમજ ઓનલાઈન હથિયારની તાલીમ અંગેનું સાહિત્ય પણ મળી આવ્યું હતું.
અલ-કાયદાનો ખૂંખાર આતંકી અબુ તલ્હા ત્રણેયને માર્ગદર્શન આપતો હતો
રાજકોટમાંથી પકડાયેલા ત્રણેય આતંકીઓની પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે આ ત્રણેયને અલ-કાયદાનો ખૂંખાર આતંકી અબુ તલ્હા માર્ગદર્શન આપી રહ્યો હતો. અબુ તલ્હા ઉપરાંત ફુરસાન નામના શખ્સનું નામ પણ ખુલ્યું હતું જે આખરે કોણ છે તેની તપાસ ચાલી રહી છે. જ્યારે કનવેરસેશન એપ્લીકેશનના માધ્યમથી અમન મુઝમ્મીલ નામની વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો.
‘કુછ બડા કરના હૈ’ હેન્ડલરે ત્રણેય આતંકીઓને આપ્યો’તો મેસેજ
આતંકીઓની પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો હતો કે ત્રણેય આતંકીઓને તેના હેન્ડલર દ્વારા ‘કુછ બડા કરના હૈ’ એવો મેસેજ આપવામાં આવ્યો હતો. આ વાતનો મતલબ એ થાય કે આતંકીઓ ટૂંક સમયમાં જ રાજકોટ કે સૌરાષ્ટ્ર-ગુજરાતના કોઈ વિસ્તારમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા.
