દેશના અનેક રાજ્યોમાં પૂરથી હાહાકાર : અડધું દિલ્હી પાણીમાં ડૂબ્યું, ખેડૂતોના પાકનો નાશ,10 હજાર લોકોનું કરાયું રેસ્ક્યુ
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને લીધે હજારો લોકો આફતમાં આવ્યા છે. બુધવારે દિલ્હી , હરિયાણા અને રાજસ્થાન તથા જમ્મુ-કાશ્મીર , હિમાચલમા સ્થિતિ ચિંતાજનક બની ગઈ હતી. યમુના દિલ્હીની ઓળખ છે. જ્યારે તેના મોજા શાંત હોય છે, ત્યારે તે ઘણી રાહત આપે છે, પરંતુ જ્યારે તે પૂરમાં હોય છે, ત્યારે તે બધું જ નષ્ટ કરી નાખે છે. આ દિવસોમાં યમુનાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. નદીનું પાણીનું સ્તર 207 .19 મીટર સુધી પહોંચી ગયું છે, જે ભયના નિશાનથી ઉપર છે. યમુનાની આસપાસ આવેલા વિસ્તારો પૂરમાં ડૂબી ગયા હતા. 10 હજાર લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. દિલ્હીની અનેક કોલોનીઓમાં અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. બજારો બંધ થઈ ગઈ હતી.
દિલ્હીમાં યમુના નદીના કિનારે આવેલી વસાહતો, મયુર વિહાર, જૈતપુર પુષ્ટ, શ્યામ ઘાટ અને યમુના બજારનું દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું. ચારે બાજુ કાદવવાળું પૂરનું પાણી ફેલાયેલું હતું, જેમાં ખાટલા તરતા હતા. લોકો ઘૂંટણ સુધીના પાણીમાં પસાર થઈ રહ્યા હતા. ઘરોની અંદર પલંગ નીચે પાણી પહોંચી ગયું હતું. લોકો માથા પર જરૂરી વસ્તુઓ લઈને સલામત સ્થળો તરફ જઈ રહ્યા હતા. નોઈડાના મંગરોલી, યાકુતપુર અને ઝટ્ટ ગામમાં પણ આવી જ સ્થિતિ હતી.
રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા
રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયું છે. મઠનું લદ્દાખ બુદ્ધ વિહાર મંદિર પણ ડૂબી ગયું છે. નિગમ બોધ ઘાટ અને યમુના બજાર જેવા અન્ય વિસ્તારો પણ પાણીના સ્તરમાં વધારાને કારણે પ્રભાવિત થયા છે. યમુના બજાર લગભગ 10 ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયું છે.
આ પણ વાંચો :New GST Rates: IPL લવર્સને ઝટકો! હવે ટિકિટ પર 40% GST લાગશે,રમતગમત ક્ષેત્ર પર થશે અસર
ખેડૂતોના પાકનો નાશ થયો છે
પૂરને કારણે ખેડૂતોને સૌથી વધુ અસર થઈ છે. મદનપુર ખાદર જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોના પાકનો નાશ થયો છે. ખેડૂત રામશંકરે પોતાની પીડા વ્યક્ત કરતા કહ્યું કે તેમના કાકાએ પાક ઉગાડવા માટે ખૂબ મહેનત કરી હતી, પરંતુ બધું બરબાદ થઈ ગયું છે. તેમણે કહ્યું કે દર કલાકે પાણીનું સ્તર વધી રહ્યું છે, જેના કારણે તેમના ખેતરો સંપૂર્ણપણે ડૂબી ગયા છે.
પાણીમાં ડૂબી ગઈ ઝૂંપડીઓ
મદનપુર ખાદરના એક રહેવાસીએ જણાવ્યું કે ખેતરોની સાથે તેમના ઝૂંપડાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે. તેમણે ફરિયાદ કરી કે પોલીસ તેમને ત્યાંથી ખસી જવા માટે કહી રહી છે, પરંતુ તેમના માટે રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. યમુના નદીની પેલે પારના વિસ્તારોમાં રાતોરાત વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ફર્નિચર ભીનું થઈ ગયું હતું અને લોકોને ઘણું નુકસાન થયું હતું.
હરિયાણા, રાજસ્થાનમાં પૂર, અનેક ગામડા ડૂબી ગયા
દરમિયાનમાં રાજસ્થાનમાં બુધવારે વધુ ગંભીર સ્થિતિ જોવા મળી હતી. અહીં એક ડેમ તૂટી જતાં જયપુરના અનેક ગામ પાણીમાં ડૂબી ગયા હતા . અતિ ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા અને લોકો ઘરોમાં પુરાઈ ગયા હતા . ન સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી ગયું હતું. એ જ રીતે હરિયાણાના અનેક શહેરોમાં ભારે વરસાદને પગલે 3 થી 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. 200 સ્કૂલો બંધ રખાઇ હતી. પંજાબમાં 1200 થી વધુ ગામોમાં પાણી ઘૂસી ગયું છે અને તમામ સ્કૂલો બંધ છે. હિમાચલમા 1300 માર્ગો બંધ થઈ ગયા હતા .
