અમદાવાદ વિમાન દુર્ઘટના : પ્લેનના એક નહીં બંને એન્જિન એક સાથે ફેઈલ થઇ ગયા હતા ! પ્રાથમિક તપાસમાં મળ્યો સંકેત
અમદાવાદમાં બનેલી વિમાની દુર્ઘટના બે અઠવાડિયાથી વધુનો સમય થઇ ગયો છે અને મોટાભાગે 11 જુલાઈએ પ્રાથમિક તપાસ રીપોર્ટ જાહેર કરવામાં આવનાર છે ત્યારે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની પ્રાથમિક તપાસમાં એવો સંકેત મળ્યો છે કે, વિમાનના બંને એન્જિન એક સાથે ફેઈલ થઇ જતા આ દુર્ઘટના બની હતી.આ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત કુલ 270 લોકોનું દુઃખદ મૃત્યુ થયા હતા.

સુત્રો અનુસાર, તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત પહેલા, વિમાનમાં ઇમરજન્સી પાવર ટર્બાઇન (RAT) ઓટોમેટિક એકટિવ થઈ ગયું હતું. આ સિસ્ટમ ત્યારે જ એક્ટિવ થાય છે જ્યારે વિમાનના બંને એન્જિન કામ કરવાનું બંધ કરી દે છે. આનાથી એ શંકા વધુ ઘેરી બની છે કે અકસ્માત સમયે વિમાનમાં સંપૂર્ણ વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. વિમાન ફક્ત લેન્ડિંગ ગિયર બંધ હોવાને કારણે અને પાંખોના ફ્લૅપ્સ બંધ હોવાને કારણે ક્રેશ થયું ન હોઈ શકે. આ સૂચવે છે કે, એન્જિન અથવા ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી હતી.

પ્રારંભિક તપાસ મુજબ, વિમાનમાં બે જનરલ ઇલેક્ટ્રિક (GE) એન્જિન ફીટ કરવામાં આવ્યા હતા. AAIB તપાસ કરી રહ્યું છે કે શું ઇલેક્ટ્રિકલ નિષ્ફળતા, ઇંધણમાં ભેળસેળ અથવા એન્જિન કંટ્રોલ સિસ્ટમની નિષ્ફળતાને કારણે એક સાથે વીજળી ગઈ હતી. GE એ હાલમાં આ અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

વીડિયો ફૂટેજ દર્શાવે છે કે વિમાન ટેકઓફ પછી તરત જ ઊંચાઈ મેળવી શક્યું નહીં અને નીચે પડી ગયું. સિમ્યુલેટર પરીક્ષણો દર્શાવે છે કે, લેન્ડિંગ ગિયર અડધું ફોલ્ડ હતું પરંતુ તેના દરવાજા ખુલ્યા ન હતા, જે હાઇડ્રોલિક નિષ્ફળતા અથવા પાવર સપ્લાય નિષ્ફળતા સૂચવે છે.
આ પણ વાંચો : રાજકોટમાં કપાસની તુલનાએ મગફળીનું બમણું વાવેતર : જિલ્લામાં 88 ટકા ખરીફ વાવણી સંપન્ન, જાણો ક્યાં કેટલું વાવતેર થયું
હાલમાં, બે સ્તરે તપાસ ચાલી રહી છે. AAIB ની ટેકનિકલ ટીમ તપાસ કરી રહી છે, જેમાં વિમાનના એન્જિનની નિષ્ફળતા અને સિસ્ટમની તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે, ગૃહ સચિવના નેતૃત્વ હેઠળ એક અલગ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જે માનવ ભૂલ અથવા સુરક્ષામાં ખામીની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
