ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ હવે જોખમી તબક્કે પહોંચી રહ્યું છે . ઇઝરાયલે ઈરાનના પરમાણુ સ્થળો ઉપર હુમલો કર્યાની ઘટના પછી રશિયા અને ચીને ઇઝરાયલની ટીકા કરી છે અને આ પ્રકારના હુમલા બંધ કરવા ચેતવણી આપી છે. ત્યારે આ યુદ્ધની ભયંકર સ્થિતિ વચ્ચે ઈરાને ભારતીય નાગરિકો માટે પોતાનું એરસ્પેસ ખોલી દીધું છે. આજે 1000 ભારતીય નાગરિકો પોતાના વતન પરત ફરશે.
1,000 ભારતીય નાગરિકો આજે રાત્રે ઈરાનથી નવી દિલ્હી પહોંચશે
ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. દરમિયાન, ઈરાને ભારતીય સમુદાયના લોકોના સ્થળાંતર માટે પોતાનું એરસ્પેસ ખોલી નાખ્યું છે. 1,000 ભારતીય નાગરિકો આજે રાત્રે ઈરાનથી નવી દિલ્હી પહોંચશે. ઈરાનથી ભારતીય નાગરિકોને દિલ્હી લાવવા માટે મશહદથી એર ચાર્ટર્ડ ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીયો ઈરાનના પોતાના વિમાનમાં ઘરે પરત ફરશે.
ભારતીય નાગરિકોની સલામતી
ઈરાનના સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ઈરાન છોડવા માંગતા ભારતીયો માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અધિકારીઓએ ભાર મૂક્યો હતો કે ઈરાન પ્રાદેશિક તણાવ વચ્ચે ભારતીય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માંગે છે.
આ પણ વાંચો : લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
ભારત સરકારે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું
ઈરાન દ્વારા આ વ્યવસ્થા ત્યારે કરવામાં આવી છે જ્યારે ભારત સરકારે બે દિવસ પહેલા ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું હતું. આ કામગીરી હેઠળ, ભારત સરકાર ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેમના વતન પરત ફરવામાં મદદ કરી રહી છે. ઈઝરાયલ તરફથી વધતા લશ્કરી હુમલાઓને કારણે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
ખાસ કોરિડોરની વ્યવસ્થા
તમને જણાવી દઈએ કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે આઠ દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ સમય દરમિયાન, બંને દેશો ડ્રોન અને મિસાઈલથી એકબીજા પર હુમલો કરી રહ્યા છે. મિસાઈલ હુમલાઓ વચ્ચે, ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે અને મોટાભાગની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. તેમ છતાં, ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે એક ખાસ કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતે બુધવારે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું.