સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી : ભાવનગરના જેસરમાં 11, પાલીતાણા-સિહોરમાં 10 અને મહુવામાં 9 ઈંચ વરસાદ
રાજ્યમાં આજથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હોવાનું હવામાન વિભાગે જાહેર કરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અંગે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જે મુજબ સોમવારે સવારથી સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ભાવનગર અને અમરેલી જિલ્લામાં સટાસટી બોલાવતા ભાવનગરના જેસરમાં બાર કલાકમાં 11 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો તો પાલીતાણા-સિહોરમાં 10 અને મહુવામાં 9 ઈંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 163 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.હજુ પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફરીવાર બોઈંગ વિમાન ખોટકાયું : લંડનથી ચેન્નાઈ આવતું વિમાન 2 કલાક હવામાં રહ્યું
હવામાન વિભાગે સોમવારે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું હતું જે મુજબ સવારથી જ ભાવનગર અને અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી સાથે રૌદ્રરૂપના દર્શન કરાવ્યા હતા અને સાંજના 6 વાગ્યા સુધીમાં ભાવનગરના જેસરમાં 11 ઈંચ, પાલીતાણા અને સિહોરમાં 10 ઈંચ, મહુવામાં નવ ઈંચ, સાવરકુંડલામાં 8.5 ઈંચ, રાજુલામાં 7.5 ઈંચ, અમરેલીમાં 5.5 ઈંચ, ઉમરાળા, લીલીયા અને ગારીયાધારમાં 5 ઈંચ, તળાજામાં 4.5 ઈંચ, ખાંભામા 3.75 ઈંચ, જૂનાગઢમાં 3.15 ઈંચ, વલ્લભીપુરમાં 3 ઈંચ, ઉના અને જેતપુરમાં અઢી ઈંચ, બનાસકાંઠાના અમીરગઢ અને વલસાડના ઉમરગામ અને ભાવનગરના ઘોઘા, વંથલી, ભેસાણ અને સુત્રાપાડામાં 2 ઈંચ, બગસરા અને મેંદરડામાં દોહ ઈંચ તેમજ ધોરાજીમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે સવારથી સાંજના 6 વાગ્યા સુધીમા રાજ્યના 163 તાલુકાઓમાં 1 મીમીથી લઈ 257 મીમી સુધી વરસાદ નોંધાયો હતો અને હજુ પણ આગામી 22 જૂન સુધી રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા જેમાં અમરેલીના મોટા લીલીયાના ભોરિંગડા ગામે નદીમાં ધસમસતા પ્રવાહમાં એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. જો કે, તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.તો ભાવનગરના મહુવામાં 30 શાળાના બાળકો કોઝ વેમાં ફસાઈ જતા તમામ બાળકોને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તલગાજરડામાં પૂર આવતા સ્થાનિક લોકોના ઘરમાં પાણી ઘુસી જતા હોડી મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જયારે અમરેલીના હડમતીયા ગામે 15 જેટલા પશુઓ પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હતા તેમજ જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના કારણે ચોતરફ પાણી-પાણી થઈ જતા શહેરના જોષીપરા વિસ્તારનો અંડરબ્રિજ બંધ કરાયો હતો.
