રાજકોટ જિલ્લામાં સરપંચની 2 અને સભ્યોની 221 બેઠકો ઉપર ચૂંટણી નહીં યોજાય : જાણો શું છે કારણ
આગામી તા.22 જૂનના રોજ રાજ્યમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર ફાઈનલ થયું છે જે અન્વયે રાજકોટ જિલ્લામાં 64 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 20 સરપંચ અને 271 સભ્યો બિનહરીફ ચૂંટાયા છે.જયારે ૨૪૩ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં પણ 18 સરપંચ અને 88 સભ્ય બિનહરીફ થયા છે. જો કે, બીજી
તરફ રોટેશન મુજબ અનામત આપવામાં આવેલ બેઠકો ઉપર ઉમેદવારો ન હોય જિલ્લામાં સરપંચની ૨ બેઠક અને સભ્યોની 221 બેઠકો ઉપર ચૂંટણી જાહેર થઈ હોવા છતાં ઉમેદવારોના અભાવે ચૂંટણી નહીં યોજાઈ.
આ પણ વાંચો : 37 વર્ષ પહેલા પણ અમદાવાદમાં થયું’તું પ્લેન ક્રેશ : 133 લોકોનો ભોગ લેનાર એ દુર્ઘટનામાં શું થયું હતું? વાંચો સમગ્ર ઘટના
રાજકોટ સહિત રાજ્યમાં 8400થી વધુ ગ્રામ પંચાયતોની આગામી તા.રરના રોજ સામાન્ય અને પેટા ચૂંટણીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે. પ્રભવ જોશીના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં 64 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 20 સરપંચ અને 271 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જયારે પેટા ચૂંટણી યોજાનાર હતી તેવી ૨૪૩ ગ્રામ પંચાયતમાં પણ ૧૮ સરપંચ અને 88 સભ્ય બિનહરીફ થયા છે.દરમિયાન ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ કર્મચારીઓને તાલીમ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને બે દિવસમાં બેલેટ પેપર છપાઈ જશે સાથે જ સર્વિસ વોટર્સ માટે મતપત્રક મોકલવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash : Air Indiaના ક્રેશ થયેલા વિમાનનું DVR મળ્યું, દુર્ઘટનાની અંતિમ ક્ષણોમાં શું ચાલી રહ્યું હતું? રહસ્ય ખુલશે
બીજી તરફ આગામી તા. ૨૨ જૂનના રોજ રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂં ટણી યોજાનાર હોવા છતાં રોટેશન ગામમાં સરપંચની ચૂંટણી તેમજ અલગ અલગ ગામમાં 221 વોર્ડમાં સભ્યોની બેઠકની ચૂંટણી પણ નહીં યોજાઈ શકે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ અનેક ગામો એવા છે જ્યાં અનુસૂચિત જનજાતિ અનામત બેઠકો રાખવામાં આવી છે. હકીકતમાં આ ગામોમાં અનુસૂચિત જનજાતિની વસ્તી જ ન હોવાથી આવી અનેક બેઠકો ઉપર ઉમેદવારી પત્ર જ ન ભરાયા હોવાથી હવે બીજી વખત ચૂંટણી જાહેર થશે ત્યારે આવી બેઠક માટે ચૂંટણી યોજાશે.