રાજકોટમાં રૂ.10ના સિક્કા અને નોટની અછત : ધંધા-રોજગાર રેઢા મૂકીને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા વેપારીઓ મજબૂર
રાજકોટમાં રૂપિયા 10 ના સિક્કા લેવા માટે વેપારીઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે, તેમ છતાં પણ 10 ના સિક્કા મળતા નથી અને બીજી બાજુ ધંધા રોજગારમાં ફટકો પડી રહ્યો છે. આ હાલાકીને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર રજૂઆત કરવામાં આવી છે અને આ જટિલ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે માંગણી ઉઠાવી છે.
ગુજરાતનાં ઘણા શહેરોમાં 10 ના સિક્કાઓ સરળતાથી મળી રહે છે તો રાજકોટમાં જ કેમ આવી અછત સર્જાય છે..? હાલમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મેઈન બ્રાન્ચમાં રૂા.10 ના સિક્કા લેવા માટે મહિનામાં માત્ર બે શનિવારે જ બપોરે 1 થી 1.30 સુધી વિતરણ કરવામાં આવે છે. વેપારીઓ બે થી ત્રણ કલાક લાઇનમાં ઊભા રહે છે, વિતરણ શરૂ થાય તે પહેલા જ સમય પણ પૂરો થઈ જતો હોય છે જેના કારણે દુકાનો રેઢી મૂકીને આવેલા વેપારીઓને વેપાર પણ કરી શકતા નથી.
વેપારીઓની અગવડતાને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ વી.પી.વૈષ્ણવ અને હોદ્દેદારો દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના લીડ બેંક મેનેજર કે. બીસવાલ સમક્ષ શહેરની એસબીઆઈની તમામ બ્રાન્ચમાં રૂપિયા 10 ના સિક્કાનું દરરોજ અને આખો દિવસ વિતરણ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે પ્રબળ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રૂા.10 ની નોટની પણ જે અછત સર્જાય છે તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ચેમ્બરે મોંગ કરી છે.